નવી દિલ્હી/દેવબંધ (ઉત્તર પ્રદેશ)
ઉત્તર પ્રદેશના એક ઇસ્લામિક જૂથે ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ને ગાવા પર પ્રતિબંધ મૂક્યો છે અને જણાવ્યું છે કે, તે અમારી ધાર્મિક માન્યતાની વિરુધ્ધમાં છે. આ ફતવાનો અન્ય જૂથોએ વિરોધ કર્યો છે અને દારૃલ દેવબંધનાં પૂતળાં બાળ્યાં હતાં.
જમાત-એ-ઉલેમા હિંદે દેવબંધમાં એક રાષ્ટ્રીય કન્વેન્શનમાં ફતવો બહાર પાડયો હતો અને કહ્યું હતું કે, મુસ્લિમોએ રાષ્ટ્રીય ગીત ન ગાવું જોઇએ કારણ કે તેના અમુક શબ્દો ઇસ્લામની માન્યતાની વિપરીત છે. આ ફતવાને ટેકો આપતાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના એક સભ્ય કમાલ ફારુકીએ જણાવ્યું હતું કે આ ફતવો આ ગીતના ધાર્મિક અર્થો હોવાના અમારા અભિપ્રાય સાથે બંધ બેસે છે.
આમ જમાત-એ-ઉલેમાએ પણ આ ફતવાને આડકતરો ટેકો આપ્યો છે. કેન્દ્રના ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ્ની હાજરીમાં પસાર થયેલા ૨૫ ઠરાવોમાં આ ઠરાવનો પણ સમાવેશ થતો હતો. અગાઉ દારૃલ ઉલુમે પણ આ ગીતને નહિ ગાવાનો ફતવો બહાર પાડયો હતો. તેણે વંદે માતરમ્ ગીતને મુસ્લિમ વિરોધી ગણાવીને ૨૦૦૬માં આ ફતવો બહાર પાડયો હતો.
એક ઠરાવ મુજબ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઇને વંદે માતરમ્ ગાવાની ફરજ ન પાડી શકાય. આ ઠરાવને આજે દેશભરના ૧૦,૦૦૦થી મોલવીએ સ્વીકાર્યો હતો. અમે માતાને પ્રેમ અને સન્માન કરીએ છીએ. પરંતુ તેની પૂજા નથી કરતા. પરંતુ આ મુદ્દાને કોમી રંગ આપીને તે બિનજરૃરીરીતે ચગાવવો ન જોઇએ. તેનાથી કાયદા અને વ્યવસ્થાને અસર થાય તેવા કોઇ પણ કૃત્ય ન થવાં જોઇએ.
આ ઠરાવમાં વંદે માતરમ્નો ઉપયોગ મુસ્લિમોને નિશાન બનાવવા માટે નહિ કરવાની અપીલ કરવામાં આવી છે. "માત્ર વંદે માતરમ્ ગાવાથી દેશદાઝ વ્યક્ત થતી નથી. અમે અમારા દેશને પ્રેમ કરીએ છીએ અને તે ઘણા વખતે સાબિત પણ કરી ચૂક્યા છીએ. પરંતુ વંદે માતરમ્ના શબ્દો અમારી ધાર્મિક માન્યતાની વિપરીત હોવાથી તેને નહિ સ્વીકારીએ તેમ ઠરાવમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.
આ મુદ્દાને બિનજરૃરી ચગાવીને કેટલાક તત્ત્વો કોમી વિખવાદ ઊભો કરી રહ્યા હોવાની બાબતે ઠરાવમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
દરમિયાન મુસ્લિમ લો બોર્ડે પણ જમાતના આ નિર્ણયને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે મુસ્લિમો અલ્લાહ સિવાય કોઇની પણ પ્રાર્થના કરી શકતા નથી. અગ્રણી નેતા કમાલ ફારુકીએ કહ્યું હતું કે અમે દેશને પ્રેમ કરીએ છીએ પણ તેની પૂજા કરી શકતા નથી.
