મુંબઇ,તા. ૩
મહારાષ્ટ્રમાં સરકારની રચના આડે હજુ પણ અનેક ગૂંચ પ્રવર્તી રહી છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષ એનસીપી વચ્ચે ખાતાંઓની વહેંચણી મામલે મડાગાંઠ હજુ પણ અકબંધ હોવાથી સરકારની રચના થઇ શકી નથી. બીજી બાજુ મહારાષ્ટ્રના રાજ્યપાલ એસ.સી. જમીરે સરકારની રચના માટેની બાબતને હવે ગંભીરતાથી લીધી છે. જમીરે મુખ્યપ્રધાન અશોક ચવ્હાણ અને નાયબ મુખ્યપ્રધાન છગન ભુજબળ સાથે અલગ અલગ રીતે વાતચીત કરી હતી. સરકારની રચનાના મામલે બન્ને સાથે ચર્ચા કરવામાં આવી હતી.
દરમિયાન, એનસીપીના નેતા છગન ભુજબળે એમ કહીને નવો વિવાદ છેડી દીધો છે કે તેમનો પક્ષ બહારથી કોંગ્રેસ સરકારને ટેકો આપશે. જો કે ભુજભળે કહ્યું હતું કે, શક્ય તેટલી વહેલી તકે સરકારની રચના કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન પ્રધાન પ્રફુલ્લ પટેલે પણ સ્પષ્ટતા કરી હતી કે તેમની પાર્ટી નવી સરકારનો ભાગ બનશે. પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસ સાથે તમામ મુદ્દે વાત થઇ રહી છે. તમામને સંતોષ થાય તે રીતે સમજૂતી કરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં બાદ હજુ પણ બન્ને પક્ષો વચ્ચે મતભેદ છે. ખાતાંઓની ફાળવણીના મામલે બન્ને પક્ષો મક્કમ વલણ અપનાવી રહ્યા છે. એક બાજુ કોંગ્રેસ આ વખતે વધારે ખાતાંઓ ઇચ્છે છે જ્યારે એનસીપી ૧૯૯૯ની ફોર્મ્યુલાને અમલી બનાવવામાં આવે તેમ ઇચ્છે છે. વિદાય લેતી વિધાનસભાની અવધિ આજે પૂરી થઇ હતી.
રાજ્યપાલે ચવ્હાણ અને ભુજબળ સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલ સાથે વાતચીત કર્યા બાદ પત્રકારો સાથે ચર્ચા કરતા ભુજબળે કહ્યું હતું કે, સરકારની રચના શા માટે થઇ શકી નથી તેનો યોગ્ય જવાબ મુખ્યપ્રધાન જ આપી શકે છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી કોંગ્રેસ સાથે ખાતાંઓની વહેંચણી અંગે વિવાદનો ઉકેલ આવશે નહી ત્યાં સુધી એનસીપી કોંગ્રેસની નવી સરકારને બહારથી ટેકો આપશે.
કોંગ્રેસે સરકારની રચના કરવા પહેલ કરવી જોઇએ. દરમિયાન કોંગ્રેસે સરકારની રચનામાં વિલંબને યોગ્ય ઠેરવીને તેનો બચાવ કર્યો હતો. સરકારની રચના થઇ ગયા બાદ કોઇ પણ મતભેદો ન સર્જાય તેની ખાતરી કરવા બન્ને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. દરમિયાન ભાજપે કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, લોકોના જનમતનું અપમાન કરવામાં આવી રહ્યું છે. બન્ને વચ્ચેની લડાઇ ચૂંટણી બાદ નાટક સમાન છે. સરકારની રચનાના મામલે હજુ સમજૂતી થઇ નથી. ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ આ મુજબની વાત કરી હતી.