નવી દિલ્હી,તા. ૬
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ ખાતાંઓની ફાળવણી અંગે લાંબી મડાગાંઠનો અંત આવી ગયા પછી આવતીકાલે કોંગ્રેસ-એનસીપીની સરકારની રચના કરવામાં આવશે. કોંગ્રેસના ૨૩ અને એનસીપીના ૨૦ પ્રધાનો નવી સરકારમાં રહેશે. વિશ્વસનીય સૂત્રોએ કહ્યું છે કે એનસીપીના તમામ પ્રધાનો આવતીકાલે શપથ લેશે. જ્યારે કોંગ્રેસના પ્રધાનો બે તબક્કામાં શપથ લેશે.
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે વાતચીત કર્યા બાદ ખુશખુશાલ દેખાતા મુખ્યપ્રધાન અશોક ચવ્હાણે કહ્યું હતું કે, અમે આવતીકાલે સરકારની રચના કરવા જઇ રહ્યા છીએ. સરકારની રચના કરવાનો દાવો કરી દેવામાં આવ્યો છે. નવા પ્રધાનમંડળમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવશે તે અંગે અંગે તમામ પ્રશ્નોનો જવાબ ચવ્હાણે આપ્યો ન હતો. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પુત્ર રાજેન્દ્ર સિંહ શેખાવત, મુંબઇ ક્ષેત્રિય કોંગ્રેસના વડા કૃપાશંકર સિંહ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા માણિકરાવ ઠાકરેનો સમાવેશ પ્રધાનમંડળમાં કરવામાં આવશે કે કેમ? તે અંગે પ્રશ્નોનો જવાબ પણ ચવ્હાણે આપ્યો ન હતો.
તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, કોણ અને કેટલા પ્રધાનો શપથ લેશે તે પ્રશ્નનો જવાબ હાલ તેઓ આપવા ઇચ્છતા નથી. શપથવિધિની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ ખાતાંઓ અંગે ફેંસલો કરવામાં આવશે. ચવ્હાણે કબૂલાત કરી હતી કે વર્ષ ૧૯૯૯ની ફોર્મ્યુલાને અમલી બનાવવામાં આવી રહી છે. કોંગ્રેસ અને એનસીપી પાસે કયાં કયાં ખાતા રહેશે તે અંગે પણ ટિપ્પણી કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો.
મહારાષ્ટ્રમાં કેબિનેટની રચનાના મામલે પક્ષના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે અને એ.કે. એન્ટોની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૮૨ બેઠકો જીતી હતી જ્યારે એનસીપીએ ૬૨ બેઠકો પર જીત મેળવી હતી. વિપક્ષી ભાજપ-શિવસેનાનો દેખાવ અપેક્ષા કરતા નબળો રહ્યો હતો. ગઇકાલે રાત્રે જ સરકારની રચના આડેની તમામ અડચણો દૂર થઇ ગઇ હતી. કારણ કે બન્ને પક્ષો ખાતાંઓની ફાળવણી મામલે મતભેદોને દફનાવી દેવા સહમત થયા હતા.