મુંબઈ
જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને બિહારના રાજકારણ પર ફિલ્મો બનાવીને પ્રસિદ્ધ થનાર પ્રકાશ ઝા હાલમાં તેમની ફિલ્મ ‘રાજનીતિ’ના અંતિમ તબક્કાના પ્રોડક્શનમાં પડયા છે. ત્યારે હવે તેમણે નવી ફિલ્મ અમિતાભ બચ્ચન સાથે બનાવવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષથી મધ્યપ્રદેશના સુંદર શહેર ભોપાલમાં થશે.
પ્રકાશ ઝાએ કહ્યું હતું કે, " ભોપાલ એક સુંદર સ્થળ છે. અહીંના લોકો પણ ખૂબ જ મિલનસાર છે. જેથી મેં અમિતાભ બચ્ચન સાથેની આગામી ફિલ્મ ‘આરક્ષણ’નું શૂટિંગ અહીં જ કરવાનું નક્કી કર્યું છે. " તેમણે કહ્યું હતું કે, કોઈ પણ ફિલ્મ બનાવવા માટે તેઓ ખૂબ રિસર્ચ કરે છે ત્યાર બાદ જ ફિલ્મ બનાવે છે. ‘ગંગાજલ’ ફિલ્મ બનાવતા પ્રકાશ ઝાને આઠથી નવ વર્ષ થયાં હતાં જ્યારે ‘રાજનીતિ’ને છ વર્ષ થયાં છે.’આરક્ષણ’ ફિલ્મ મંડળ કમિશનની ભલામણો પર બની રહી છે. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ આ અંગે વિચારી રહ્યા હતા. રાજનીતિ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થઈ રહી છે.