મુંબઇ, તા. ૬
ઘરઆંગણાની ખાનગી વિમાની કંપનીઓ જેટ એરવેઝ અને કિંગફિશર એરલાઇન્સે આજથી અમલમાં આવે તેરીતે તેમના ઘરઆંગણાના માર્ગો પર ઉડ્ડયન ભરતાં વિમાનો પરના ફ્યુઅલ સરચાર્જમાં રૃ. ૨૦૦ સુધીનો વધારો કર્યો છે. સ્પાઇસજેટ પણ ટૂંક સમયમાં આ પગલાંને અનુસરશે.
આ અંગે માહિતી આપતાં કિંગફિશર એરલાઇન્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઘરઆંગણે ઉડ્ડયન ભરતાં વિમાનો પર ફ્યુઅલ સરચાર્જમાં આ વધારો કરવામાં આવ્યો છે અને તે તત્કાળ અમલમાં આવશે. હવે ૧,૦૦૦ કિલોલિટરથી ઓછું ફ્યુઅલ ધરાવતાં વિમાનો પરના આ સરચાર્જમાં રૃ. ૧૦૦નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ૧,૦૦૦ કિલોલિટરથી વધુની ક્ષમતા ધરાવતાં વિમાનો માટે તેમાં રૃ. ૨૦૦નો વધારો કરાયો છે.
આ વધારાને અનુમોદન આપતાં જેટ એરવેઝના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારા તમામ ઘરેલું વિમાનો પર સરચાર્જમાં રૃ. ૨૦૦નો વધારો કરવામાં આવ્યો છે. તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે કરવામાં આવેલો આ વધારો જેટલાઇટ અને જેટ કનેક્ટને પણ લાગુ પડશે.
અન્ય વિમાની કંપની સ્પાઇસજેટે જણાવ્યું હતું કે, કાર્યકારી ખર્ચાઓમાં વધારાને આંશિક રીતે ભરપાઇ કરવા માટે આ તે પણ સરચાર્જમાં વધારો કરવા વિચારી રહી છે. ફ્યૂઅલના ભાવમાં તાજેતરમાં નવ ટકાનો વધારો થયો હતો અને આમ તેની આંશિક ભરપાઇ થાય તેવા પગલાં પણ લેવાની યોજના છે તેમ સ્પાઇસજેટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજય અગ્રવાલે જણાવ્યું હતું.