નવી દિલ્હી, તા. ૬
અત્યારે સંકટમાંથી પસાર થઈ રહેલા ભાજપના હાલના પ્રમુખ રાજનાથસિંહની મુદત ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના વડા મોહન ભાગવતે મહત્ત્વનો સંકેત આપતા કહ્યું છે કે, ભાજપના નવા પ્રમુખ દિલ્હી બહારના હશે અને તેમની નિમણૂક માટે પ્રક્રિયા શરૃ થઈ ચૂકી છે. ભાગવતે ગુજરાતમાં થયેલા તોફાનોને નિયંત્રણમાં લેવાની મોદી સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી.
નવી દિલ્હીમાં એક મુલાકાત દરમિયાન સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, " નવી નેતાગીરી આ ચાર( સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ અને અનંત કુમાર) સિવાયની હશે. હું માત્ર આટલું જ કહેવા માંગુ છું. હું માનું છું ત્યાં સુધી પ્રક્રિયા શરૃ થઈ ચૂકી છે. " હાલના પ્રમુખ રાજનાથસિંહની મુદત ૩૧ ડિસેમ્બરના રોજ પૂરી થાય છે ત્યારે ભાજપની પ્રમુખપદ માટે વિવિધ નામોની ચર્ચા શરૃ થઈ ચૂકી છે. નવા પ્રમુખ ૫૦ થી ૫૫ વર્ષની ઉમર હશે તેમજ તે દિલ્હી બહારના હશે તેવા પ્રશ્નના જવાબમાં ભાગવતે કહ્યું હતું કે, "તેઓ(ભાજપ) કોઈક દિલ્હી બહારના વ્યકિતને ચૂંટશે, મને કહેવામાં આવ્યું છે કે પ્રમુખપદ માટે ચોક્કસ પ્લાન છે." ભાજપ પર સંઘ પોતાની વિચારધારા લાદી રહી છે તેવા આરોપોને ફગાવી દેતા સરસંઘચાલક ભાગવતે કહ્યું હતું કે, " આરએસએસ કોઈ દિવસ હસ્તક્ષેપ કરતું નથી. જ્યારે અમને સલાહ માટે પૂછવામાં આવે છે ત્યારે અમે સલાહ આપીએ છીએ" આરએસએસ સાથે સંકળાયેલો વ્યકિત પ્રમુખ બનશે તેવી અટકળો અંગે ભાગવતે કહ્યું હતું કે, અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે તે(પ્રમુખ) અમારી વિચારધારામાં માને, ટીમવર્કથી કામ કરે, અને યુવાપેઢીને પ્રોત્સાહન આપે. બાબરી ધ્વંસ દેશ માટે શરમજનક બનાવ હતો તેવા એલ કે અડવાણીના નિવેદન સાથે અસમંત થતા ભાગવતે કહ્યું હતું કે, " હું આ મુદ્દે અડવાણી સાથે સંમત થતો નથી. " તો ગુજરાત તોફાનો અંગે નરેન્દ્ર મોદીએ માફી માંગવી જોઈએ તેવા પ્રશ્નના જવાબમાં ભાગવતે કહ્યું હતું કે ," તેઓ રાજ્યના વડા છે. તેમણે સંપૂર્ણ માહિતી છે કે શું થઈ રહ્યું છે અને તેઓ પોતાની પ્રતિક્રિયા આપવા માટે સક્ષમ છે. જો તેમને લાગે કે માફી માંગવા જેવી વાત છે તો તે કરી શકે છે. તેમણે જે ઝડપથી તોફાનો પર નિયંત્રણ મેળવ્યું હતું તે પ્રશંસાને પાત્ર હતું. શા માટે તેમને માફી માંગવી જોઈએ ? જો તેમને કોઈ ખોટું કામ ન કર્યું હોય તો." ભાજપમાં કામ કરતા આરએસએસના કાર્યકર્તાઓ વ્યકિત્વ ઘેલછાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તે બાબતે પણ ભાગવતે ચિંતા વ્યકત કરી હતી.