નવી દિલ્હી, તા.૭
કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદીયુરપ્પા આજે ટેલિવિઝન પર રડી પડયા હતા અને તેમણે અસંતુષ્ટ રેડ્ડી બંધુઓના દબાણવશ પોતાના વિશ્વાસુ માણસોનો વિશ્વાસઘાત કરવો પડયો હોવાનું સ્વીકાર્યું હતું. સમાધાનની ફોર્મ્યુલાના અહેવાલો વચ્ચે રેડ્ડી બંધુઓનો અસંતોષ હજુ પણ સપાટી પર હોવાનું મનાય છે.
યેદીયુરપ્પાએ રાજ્યના પૂરગ્રસ્તોની માફી પણ માંગી હતી. તેમણે કહ્યું હતું કે, અસંતુષ્ટોની બળવાખોરીના કારણે તેઓ પૂરના અસરગ્રસ્તોના પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા નથી.
કર્ણાટકના મુખ્યમંત્રીએ કન્નડ ન્યૂઝ ચેનલ 'સુવર્ણ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "મેં સ્વાર્થી હિતો ખાતર મારા વિશ્વાસુ માણસોને છેહ દીધો છે. પછી તે શોભા હોય કે બાલીગર. તે માટે મને ભગવાન પણ માફ નહીં કરે."
ઉલ્લેખનીય છે કે રેડ્ડી બંધુઓના દબાણવશ યેદીયુરપ્પાએ ગઇ કાલે તેમના મુખ્યસચિવ પી. વી. બાલીગરની બીજા વિભાગમાં બદલી કરી હતી અને તેમણે કર્ણાટકના ગ્રામીણ વિકાસ પ્રધાન શોભા કરાંદલજેને કેબિનેટમાંથી દૂર કરવાનું વચન આપ્યું હોવાનું પણ કહેવાય છે.
ભાવવિભોર જણાતા યેદીયુરપ્પાએ રાજ્યના પૂરગ્રસ્તોને સંબોધીને ઉમેર્યું હતું કે, "હું પૂરગ્રસ્તોની માફી માંગું છું. તેઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે અમારે સમયનો વ્યય કરવો જોઇતો નહોતો."
તેમણે એમ પણ કહ્યું કે તેમણે જેમના પર વિશ્વાસ મૂક્યો હતો તે લોકોએ જ તેમને ટેકો ન આપ્યો હોય તેવું પણ બન્યું છે.