જાહેરમાં બોલવું એટલે કે કોઈ મંચ પરથી અથવા સમૂહમાં કોઈ વિષય અંગે ચર્ચા કરવી કે વિચારોની સ્પષ્ટતા. આ એક કળા છે.
તમને કેટલાક લોકો વચ્ચે બોલવાનું કહેવામાં આવે તો શું તમારા હાથ-પગ ધ્રુજવા લાગે છે કે પછી તમારું મગજ કામ કરવાનું બંધ કરી દે છે ? જાહેરમાં બોલવાની વાત આવે એટલે પરસેવો છૂટી જાય છે? શું તમે એ વાત સાથે સહમત છો કે ઉતાવળમાં જે શબ્દો બોલવાના હોય તેના બદલે બીજું કંઈ મોંમાંથી નીકળી જાય છે ?
ઉપરના પ્રશ્નોમાંથી કોઈ પણ સવાલનો જવાબ હકારમાં હોય, તો ચિંતા કર્યા વગર ઠંડા મગજથી વિચારો. આખરે તમે પણ એક સામાન્ય માણસ છો. તાજેતરમાં કરાયેલ એક સર્વેક્ષણમાં લોકોને મોતથી વધુ બીક જાહેરમાં બોલવાથી લાગતી હતી. માર્ક ટ્વેઈને કહ્યું છે કે દુનિયામાં બે પ્રકારના સ્પીકર હોય છે, પહેલા પ્રકારના એ કે જેઓ બોલવાની વાત આવે અને ગભરાઈ જાય. બીજા પ્રકારના એ કે જેઓ જુઠ્ઠા હોય છે. અહીં આપવામાં આવેલી બાબતોનું ધ્યાનથી પાલન કરશો તો માત્ર તમારો ડર જ દૂર નહીં થાય, પરંતુ જાહેરમાં બોલતી વખતે પોતાની જાતને સહજ અનુભવશો. સાથોસાથ તમને તેનો આનંદ પણ થશે.
જાહેરમાં બોલવું એ એક કળા છે. કેટલાક લોકોની તેમાં પ્રવીણતા હોય છે. સમૂહમાં બોલવું તમારા માટે આનંદદાયક સાબિત થઈ શકે છે, જેના માટે કેટલીક બાબતો મગજમાં રાખવી જરૃરી છે.
સામાન્ય રીતે લોકો જાણીતા વકતાને સંભાળવાનું પસંદ કરતા હોય છે માટે તમે એવા વક્તા બનવાનું ધ્યેય રાખો જે વક્તા સાંભળવા તમને સૌથી વધુ પસંદ હોય છે. અન્ય કળાઓની જેમ આ કળામાં પણ પ્રેક્ટિસ દ્વારા કૌશલ્ય હાંસલ કરી શકો છો. વક્તવ્ય આપવા માટે નોંધ તૈયાર કરો. જેને કારણે તમે જ્યાંથી વાતની શરૃઆત કરવા માંગતા હશો ત્યાંથી શરૃઆત થશે. જે રીતે જાણકારી માટે તમે ડેટા એકત્ર કરો છો તે જ રીતે વક્તવ્ય આપવા માટે મુદ્દાઓ તૈયાર કરો. પ્રભાવશાળી વક્તા બનવા માટે અગત્યનું છે કે તમારી વાતને પોતાની આગવી રીતે રજૂ કરો. કેટલીક સામાન્ય ટિપ્સને ધ્યાનમાં રાખીને આ કળામાં તમે પારંગત થઈ શકો છો.
સારલેખન
મોટે ભાગે લોકો જ્યારે પોતાની સ્પીચ લખે છે ત્યારે સાર લખવાની વાતને એટલું મહત્ત્વ નથી આપતા પરંતુ સાર પહેલાં લખવાથી ત્રણ ફાયદા થાય છે. પહેલો એ કે તમે જે કહેવા માંગો છો તે તમારી પાસે નાના - નાના મુદ્દા સ્વરૃપે લખેલું હશે. જેથી વક્તવ્ય દરમિયાન વિષયાંતર નહીં થઈ જાય. બીજી વાત કે સારને કારણે વિષય પર ફોક્સ રહે છે. ત્રીજું કે કેટલાક લોકો એ વાતને લઈને મૂંઝવણમાં હોય છે કે સૌ પ્રથમ શું બોલવું.
વાતચીતને ક્રમાનુસાર રજૂ કરો
પોતાની વાતને ક્રમાનુસાર રજૂ કરો. કોઈ ખાસ મુદ્દાની સ્પષ્ટતા માટે પ્રતીક કે કહેવતનો ઉપયોગ કરો. ખાસ ધ્યાન રાખો કે એકની એક વાત પુનરાવર્તિત ન થાય.
જીવંત વાત
તમારી વાતનું રસપ્રદપણું જળવાઈ રહે તે માટે તેમાં પંચલાઈનનો ઉપયોગ કરો તેનાથી ઘણો ફરક પડશે.
તથ્યોનો ઉલ્લેખ
તથ્યોનો ઉલ્લેખ કરતી વખતે તેનો સ્રોત પણ ટાંકવો જેથી તમારી વાતની વિશ્વસનીયતા વધી જશે.
આંકડાનો ઓછો ઉપયોગ
વધારે પડતા આંકડાનો તમારા વક્તવ્યમાં ઉપયોગ કરવાથી શ્રોતાઓ ગૂંચવાઈ શકે છે તેમજ કંટાળો પણ આવી શકે છે.
સહજતા
વક્તવ્ય આપતી વખતે સહજતા ખૂબ જરૃરી છે. તેમજ વાતમાં પ્રવાહિતા હોવી જરૃરી છે.પોતાની વાત ઉત્સાહ સાથે રજૂ કરો. વાતના વળાંકો સાથે અવાજનો ટોન અને સ્પીચ બદલતા રહો. સાથે તમારા ભાવો પણ વ્યક્ત કરો.
શબ્દોનું મહત્ત્વ
તમે જાણો છો તે મુજબ માનવ મગજ પર દૃશ્ય માધ્યમની લાંબી અસરો રહેલી છે માટે તમારી વાત એ રીતે રજૂ કરો કે લોકોના મગજમાં તેનું એક ચિત્ર ખડું થાય.
રિહર્સલ
જ્યોર્જ બર્નાર્ડ શોનું કહેવું હતું કે હું દુનિયામાં સૌથી સહજ લેખક અને વક્તા છું કારણ કે હું દરેક શબ્દ, ભાવ અને પ્રત્યુત્તરો વિશે રિહર્સલ કરું છું. તમારી સ્પીચની રૃપરેખા તૈયાર કર્યા બાદ તેને વારંવાર વાંચો જેથી તમને ખાતરી થઈ જાય કે કોઈ મહત્ત્વપૂર્ણ તથ્ય રહી નથી જતું. અરીસા સામે ઊભા રહીને વક્તવ્ય આપવાનો પ્રયત્ન કરો. જેથી તમારા શરીરની સ્થિતિને યોગ્ય રીતે નક્કી કરી શકશો.
સ્થળની જાણકારી
શક્ય હોય ત્યાં સુધી જે જગ્યાએ વક્તવ્ય આપવાનું હોય તે જગ્યા જઈને જોઈ આવો.
બોડી લેંગ્વેજ
સમૂહ સામે બોલવા માટે બોડી લેંગ્વેજ યોગ્ય હોવી જરૃરી છે. ઊભા થઈને ભાવવાહીપણે વાત કરો. જેથી પ્રેક્ષકોનો રસ જળવાઈ રહેશે.
વિરામ લો
સળંગ પ્રવાહમાં વક્તવ્યથી પ્રેક્ષકો કંટાળી શકે છે માટે તમારી વાત વચ્ચે થોડો વિરામ લો. એક વાતનું ધ્યાન રાખો કે સમૂહ તમારી વાત સાંભળવાનું બંધ ન કરી નાખે. એવું થાય તે પહેલાં જ તમારી વાત પૂરી કરી નાંખો. તમે કહેલી વાતો વિચારવાનો તેમને સમય આપો. આ અંગે મોન્ટેગોમરીની સલાહ ધ્યાન ખેંચે એવી છે કે સારા લેખકની કળા એ છે કે લેખક એ વાતથી વાકેફ હોય કે તેને ક્યાં અંત લાવવાનો છે.