ઇસ્લામાબાદ, તા. ૧૩
આત્મઘાતી બોમ્બરો આજે પાકિસ્તાનના શક્તિશાળી જાસૂસી સંસ્થા ઇન્ટેલિજન્સ એજન્સી (આઇએસઆઇ)ની પેશાવરમાં આવેલી એક ઓફિસ અને નજીકમાં જ આવેલાં બન્ના ખાતેના એક પોલીસસ્ટેશન પર ત્રાટક્યા હતા અને જાસૂસી સંસ્થાના સાત સહિત ૨૦ લોકોનાં મોત થયાં હતાં અને આશરે ૧૦૦ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. અત્યાર સુધી કોઇ પણ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પરંતુ સત્તાવાળાઓ તાલિબાન તરફ આંગળી ચીધે છે.
પાકિસ્તાનના ત્રાસવાદ વિરોધી ઝુંબેશની દેખરેખ કરી રહેલા આઇએસઆઇ પર થયેલા આ હુમલાથી ખળભળાટ મચી ગયો છે. આજે વહેલી સવારે પેશાવર શહેરના કેન્ટોન્મેન્ટમાં આઇએસઆઇની ઓફિસના ગેટમાં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલી એક ટ્રક ઘુસાડી દેતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ૧૨ લોકોનાં મોત થયાં હતાં અને ૬૦થી વધુને ઇજા થઇ હતી.
આ બોમ્બરની ટ્રકમાં આશરે ૨૦૦ કિલોગ્રામ વિસ્ફોટકો હોવાનું જાણવા મળ્યું છે. ગેટ પર શસ્ત્રોથી સજ્જ સલામતી દળોએ ટ્કને અટકાવવા માટે ગોળીબાર કર્યો હતો પરંતુ, હુમલાખોર વાહનને લઇને આઇએસઆઇની ત્રણ માળની ઇમારતમાં ઘૂસી ગયો હતો અને જોતજોતામાં આ ઇમારત કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી તેમ પોલીસે કહ્યું હતું.
આ શક્તિશાળી વિસ્ફોટનો અંદાજ એટલા પરથી જ લગાવી શકાય છે કે તેનો આવાજ ૨૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. લોકોનાં મૃતદેહો ક્ષત્ વિક્ષત્ અવસ્થામાં માર્ગો પર ફેંકાઇ ગયા હતા. મૃતદેહોને હોસ્પિટલમાં લઇ જવામાં મુશ્કેલી ન પડેે તે માટે ત્યાં ઊભેલાં લોકોને હટાવવા માટે પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.
આ ઘટનાના માત્ર એક કલાકની અંદર એક અન્ય બોમ્બરે તેની વિસ્ફોટકોથી ભરેલી મિની ટ્રકને બન્નૂ જિલ્લાના બાકાખેલ પાસેના મુખ્ય પોલીસ સ્ટેશન નજીક ઉડાવી દીધો હતો અને તેમાં આઠ લોકોનાં મોત થયાં હતાં અને ૨૫થી વધુને ઇજા પહોંચી હતી.
છેલ્લાં બે મહિનામાં આઇએસઆઇ સંસ્થા પર આ બીજો હુમલો છે. અગાઉ એજન્સીની લાહોર ખાતેની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આમાં આશરે ત્રણ ડઝન લોકોનાં મોત થયાં હતાં. હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, તેમને નવ મૃતદેહો મળ્યા હતા અને બાકીનાં ત્રણ ઇજાને કારણે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યાં હતાં. માર્યા ગયેલાંઓમાં સાત પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. સમગ્ર વિસ્તારમાં અનિશ્ચિતકાળનો કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આઇએસઆઇની ઓફિસ પર હુમલા બાદ પેશાવરમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે.