વૉશિગ્ટન : તા. 16
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા તરફથી મુંબઈ પર કહેર વરસાવવા માટે પાકિસ્તાનથી મોકલેલા 10 આતંકવાદીઓમાંથી જીવતા પકડાયેલા એકમાત્ર આતંકી અજમલ આમિર કસાબનું કહેવું છે કે તેના પિતાએ તેને લશ્કર-એ-તોયબાને વેચી દીધો હતો.
કસાબે પોતાના એક સાથી સાથે મળીને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પર ગોળીબાર કરી 50 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં અને 100થી વધુને ઘાયલ કર્યા હતાં. ગુરૂવારે એક ટીવી ચેનલ આ બાબતે ટેરર ઈન મુંબઈ નામે એક નવી ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરશે. જેમાં બંદૂકધારીઓ અને પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓ વચ્ચે ફોન પર થયીલી વાતચીત તથા કસાબ સાથે પોલીસના વીડિયો ફુટેજ દર્શાવવામાં આવશે. રવિવારે એક ટીવી ચેનલ પર તેની સમીક્ષા રજૂ કરવામાં આવી હતી. તેના વર્ણનકર્તા ફરીદ ઝકારિયા છે.
કસાબની પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછથી સંબંધિત એક ટેપમાં એ વાતનો ઉલ્લેખ છે કે તે લશ્કર-એ-તોયબા સાથે કેવી રીતે જોડાયો. તેમાં કસાબે કહ્યું છે કે મારા પિતાએ કહ્યું કે અન્ય લોકો ઘણા નાણા કમાઈ રહ્યાં છે તુ પણ કમાઈશ. આપણી પાસે પણ ધનદોલત હશે અને આપણે ગરીબ નહીં રહીએ. તારા ભાઈ-બહેનોના લગ્ન થઈ શકશે. અન્ય લોકો કેટલું સારુ જીવન જીવી રહ્યાં છે. તુ પણ તેમના જેવો બની શકીશ.
ટેપમાં કસાબ સાથેની વાતચીત :
=================
અજાણ્યો શખ્શ : તારા પિતાએ આવુ કહ્યું ?
કસાબ : હા તેમણે આમ જ કહ્યું હતું.
અજાણ્યો શખ્શ : તારા પિતા શું કામ કરે છે ?
કસાબ : તેઓ રસ્તા પર દહીં અને સ્નેક્સ વેચે છે.
અજાણ્યો શખ્શ : તેમણે તમને કેટલા નાણા આપ્યા હતાં ? શું તે તારા ખાતામાં જમા કરવામાં આવ્યા હતાં ?
કસાબ : એવું કોઈ ખાતુ નથી. તેમણે મારા પિતાને પૈસા આપ્યા હતાં.
અજાણ્યો શખ્શ : કેટલા પૈસા આપ્યા હતાં ?
કસાબ : હું નથી જાણતો પરંતુ થોડા હજાર હશે.
અન્ય એક ટેપમાં કસાબે જણાવ્યું હતું કે...
======================
પોલીસ : તમને કેટલી ટ્રેનિંગ આપવામાં આવી ?
કસાબ : ત્રણ મહિના સુધી,મારા ક્લાસમાં 24 કે 25 લોકો ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં.
પોલીસ : તે લોકો ક્યાંના રહેવાસી હતાં ?
કસાબ : તેમણે જણાવ્યું ન હતું. હું માત્ર એક વિશે જાણુ છું. તે લાહોરનો હતો અને મારો મિત્ર બની ગયો હતો.
પોલીસ : તમને એકબીજા સાથે વાતચીત કરવાની મંજૂરી હતી ?
કસાબ : ના મંજૂરી ન હતી. તેઓ ખૂબ કડક સ્વભાવના હતાં. ત્રણ મહિના બાદ તેમણે કહ્યું કે યુવક તૈયાર છે.
પોલીસ : શું તે પૂછ્યું હતું કે જે લોકોને હું મારવા જઈ રહ્યો છું તેમને મારતા મને દયા નહીં આવે ?
કસાબ : હાં મેં પુછ્યું હતું પરંતુ તેમણે કહ્યું કે જો આદમી બનવા માંગે છે અને જન્નતમાં સ્થાન હાંસલ કરવા માંગે છે તો આ બધુ તારે કરવું પડશે.
પોલીસ : તો તુ જેહાદ માટે અહીંયા આવ્યો હતો ?
કસાબ રડતા રડતાં : જેહાદ શું છે ?
પોલીસ : રડવાથી કોઈ ફાયદો નથી મને સત્ય જણાવ. આ સત્ય છે કે નહીં ?
કસાબ : તમે નહીં સમજો.
ડૉક્યુમેન્ટ્રીમાં હુમલાખોરો અને પાકિસ્તાની આકાઓ સાથેની વાતચીતનો પણ ઉલ્લેખ છે. મુંબઈની ટ્રાયડેન્ટ ઑબેરોય હોટલના બાથરૂમમાં બંધ ફહદુલ્લાહ નામનો અન્ય પાકિસ્તાની આતંકવાદી જાણતો હતો કે તેનો અંત નજીક છે. તેનું ભોજન, પાણી, ઉર્જા અને દારૂ ગોળો સમાપ્ત થઈ ગયો હતો અને તે માત્ર પોલીસના ગોળીબારનો અવાજ અનુભવી રહ્યો હતો. તે પોતાના પાકિસ્તાની આકાઓ સાથે વાતચીત કરી રહ્યો હતો. તેણે કહ્યું કે તેના નવ સાથીદારો છેલ્લા 36 કલાકથી હત્યાઓ કરી રહ્યાં છે.
પાકિસ્તાની આકાએ કહ્યું કે યાદ રહે, તુ પોલીસના હાથે જીવતો પકડાતો નહીં. ફરહદુલ્લાહ, મારા ભાઈ શું તું ત્યાંથી બહાર નિકળીને સંઘર્ષ નહીં કરી શકે ?
ફરહદુલ્લાહે કહ્યું ના, મારા ગ્રેનેડ સામાપ્ત થઈ ચૂક્યા છે.
પાકિસ્તાની આકાઓ તરફથી કહેવામાં આવ્યું બહાદુર બન,ગભરાઈશ નહીં.તારા મિશનની સફળતા માટે તારે મરવું જરૂરી છે. અલ્લાહ જન્નતમાં તારી રાહ જોઈ રહ્યાં છે.