ટોરન્ટો, તા.૨૧
ભારત સાથે વેપારને ઉત્તેજન માટે અન્ય દેશો સાથે તાલ મિલાવવા કેનેડાએ ભારતીય બિઝનેસમેન માટે નવી ઉદાર બિઝનેસ વિઝા પ્રણાલી જાહેર કરી છે. કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પરે તાજેતરમાં લીધેલી ભારતની મુલાકાતના ગણતરીના દિવસોમાં કેનેડા સરકારે ભારતીય ઉદ્યોગપતિઓ માટે નવી વિઝાપ્રણાલીની ઘોષણા કરી છે.
કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન જેસન કેન્નીએ જણાવ્યું હતું કે, બિઝનેસ વિઝા માટે ભારતીય નાગરિકો તરફથી સાંપડનારી અરજીઓને નવી સિસ્ટમ હેઠળ ૨૪ કલાકની અંદર ક્લિયર કરવામાં આવશે. એક્સપ્રેસ વિઝા ર્સિવસ અરજદારોને મલ્ટિપલ એન્ટ્રી વિઝા ઓફર કરશે.
કેનેડાએ ભારતીય બિઝનેસમેન માટે ઉદાર વિઝાપ્રણાલી ઉપરાંત ભારત સાથે નવી પરમાણુ સહકાર કરાર અને એક મ્યુચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ફાસ્ટ ટ્રેક પર હોવાની પણ ઘોષણા કરી છે. પરમાણુ કરાર ભારતની બિનલશ્કરી અણુઊર્જા જરૃરિયાતો માટે યુરેનિયમના પુરવઠાનો માર્ગ મોકળો કરશે.
કેન્નીએ કહ્યું હતું કે, "અમે પરમાણુ સહકાર કરાર અને રોકાણ સલામતી કરાર (ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેક્શન એગ્રીમેન્ટ) અંગે સક્રિયપણે વાટાઘાટો કરી રહ્યા છીએ. વળી વિદેશમાં અમે વ્યાપક નેટવર્ક્સ સ્થાપિત કર્યા છે તેમાંથી એક ભારતમાં છે. અમારી સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં નવી ત્રણ વ્યાપાર કચેરીઓ પણ શરૃ કરી છે."
"અમે કેનેડા આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બમણી કરવાનો પણ નિર્ણય લીધો છે. ભારત-કેનેડા વચ્ચે દ્વિપક્ષી વેપાર હાલ સાવ નીચા સ્તરે છે. દ્વિપક્ષી વેપારને પ્રોત્સાહન આપી આગામી પાંચ વર્ષમાં ૧૫ અબજ ડોલરની સપાટીએ લઇ જવા કેનેડા સરકાર ભારત સાથે મળીને કામ કરી રહી છે." તેમ કેનેડિયન ઇમિગ્રેશન પ્રધાને ઉમેર્યું હતું.
કેન્નીએ ગઇ રાત્રે ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત એક સમારંભમાં આ ઘોષણાઓ કરી હતી. આ કાર્યક્રમમાં કેનેડા ખાતેના ભારતીય કોન્સ્યુલ પ્રીતિ સરને પણ હાજરી આપી હતી.