રાજકોટ તા.૩૦
૧લી ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઈડ્સ દિવસ મનાવવામાં આવે છે. ‘વર્લ્ડ એઈડ્સ ડે’ નિમિતે રાજકોટમાં એક ડઝન જેટલી સામાજીક સંસ્થાઓએ લોકોમાં જાગૃતીનાં હેતુથી રેલી તેમ જ સેમિનારનું આયોજન કર્યુ છે. જેમાં સરકારી મેડિકલ કોલેજના એ.આર.ટી. સેન્ટર, નવી ઓ.પી.ડી. બિલ્ડીંગ એચ.આઈ.વી. પોઝીટીવ નિદાન થયેલી ગર્ભવતી સ્ત્રીઓ તેમજ બાળકોને કાઉન્ટ વિનામૂલ્યે કરી અપાશે. દર્દીઓ પણ લાભ લઈ શકે છે. તેમ ડો. રાજેન્દ્ર લાલાણીએ જણાવ્યું છે.
એઈડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા આજે સવારે ૯.૩૦ કલાકે ક્રિકેટ સ્ટેડીયમ બહુમાળીભવનથી વિદ્યાર્થીઓની એઈડ્સ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ર કલાકે મારવાડી કોલેજ ખાતે છાત્રો માટે સેમિનારનું આયોજન અરૃણ દવેએ કર્યુ છે. વિશ્વ એઈડ્સ દિનની પૂર્વ સંધ્યાએ રાજકોટમાં મ.ન.પા. આરોગ્ય શાખા એઈડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા જનજાગૃતિના અભિયાન રૃપે જી.ટી.શેઠ સ્કુલના છાત્રોએ વિદ્યાર્થી સાંકળ, રેડ રીબીન તેમ જ એઈડ્સ કંટ્રોલની વોક ફોર એઈડ્સ યોજી હતી. ઉપરોકત રેલીમાં પાંચ ફુટની રેડરીબીન આકર્ષણ કેન્દ્ર બની હતી.
આ ઉપરાંત બ્લાઈન્ડ શો એ પણ કુતુહુલતા જગાવી હતી. ગુજરાત શ્રમયોગી કલ્યાણભાઈ દ્વારા વિશ્વ એઈડ્સ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એઈડના રોગ બાબતે જાણકારી અને નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન વિશ્વ એઈડ્સ દિનની પૂર્વ સંધ્યાએ રાજકોટની હરિવંદના બી.એડ.કોલેજ દ્વારા સોમવારે એઈડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. દરમિયાન તા.૧લી ડિસેમ્બરે રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતેના ઓપન એર થિયેટરમાં સવારે ૯ કલાકે વાત્સલ્ય એજયુકેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીંથ એચ.આઈ.વી. એઈડ્સ (જીએસએનપી) દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો અને તેની જાણકારી અપાઈ હતી.
‘એઈડ્સ દિન’ નિમિતે સંસ્થાઓ રાતોરાત જાણે ઉંઘમાંથી ઉઠે છે
રાજકોટ તા,૩૦ : સામાન્ય રીતે વર્ષ દરમિયાન એઈડ્સને લગતા અમુક કાર્યક્રમો ચોક્કસ સંસ્થાઓ યોજતી હોય છે. પરંતુ વિશ્વ એઈડ્સ દિવસ આવે છે ત્યારે એઈડ્સનાં દર્દીએ પણ જેનું નામ ન સાંભળ્યુ હોય તેવી અનેક સંસ્થાઓ બિલાડાના ટોપની માફક જનજાગૃતિનો સંદેશ આપવા નીકળી પડે છે. હોસ્પિટલમાં એઈડ્સના દર્દી સાથે જયારે નર્સ કે ડોકટર માનવતા વિહીન કૃત્ય કરે છે અને તેનું અપમાન કરી તેની સારવારથી દુર ભાગે છે ત્યારે કોઈ સંસ્થા આવા દર્દીઓની વહારે કેમ આવતી નથી. હોસ્પિટલમાં જઈ દર્દીઓની સેવા કે તેની સંભાળ પ્રત્યે ભાગ્યે જ કોઈ સંસ્થા જાગૃત હશે તેમ કહેવામાં અતિશયોકિત નથી.