અમદાવાદ, તા.૨૩
રાજ્યની સરકારી કોલેજોમાં ૧૫થી ૨૦ વર્ષ નોકરી કરતા એડહોક અધ્યાપકોને ગ્રાન્ટેડ કોલેજોેમાં સમાવી લેતાં તેમને જીપીએફ ખાતાંમાં પડેલી રકમને ઉપાડી લેવાનો આદેશ કરાયો છે. તે સાથે તેમના જીપીએફ ખાતાં બંધ કરી દેવાની તાકીદ કરાઇ છે. જેને કારણે આ અધ્યાપકોની ગ્રાન્ટેડ કોેલેજોમાં કરાયેલી નિમણૂક નવેસરથી ગણાતાં વર્ષો સુધી નોકરી કર્યા પછી પણ એ જ નોકરીમાં ફરી વખત એકડો ઘૂંટવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
ગુજરાતની આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, કાયદા અને બી.એડ્.ની સરકારી કોલેજોમાં નોકરી કરતા ૨૦૦ જેટલા અધ્યાપકોને વર્ષો પહેલા એડહોક ધોરણે લેવામાં આવ્યા હતા.
સરકારી કોલેજમાં નિમણૂક જીપીએસ મારફત અપાય છે પરંતુ આ અધ્યાપકોએ જીપીએસ પાસ કરી ન હોવાથી તેમની નિમણૂક રદ કરાઇ હતી. ત્યાર પછી અધ્યાપકો કોર્ટમાં જતાં કોર્ટે તેમને સમાવી લેવાનો આદેશ કર્યો હતો.
પરિણામે શિક્ષણ વિભાગે અધ્યાપકોએ જીપીએસસી પાસ કરી ન હોવાથી તેમને ગ્રાન્ટેડ કોલેજોમાં સમાવી લીધા છે. ગ્રાન્ટેડ કોલેજોમાં સમાવાતાં તેમની નોકરી નવેસરથી ગણવામાં આવી હતી. જેથી તેમના સરકારી કોલેજોના કાર્યકાળ દરમિયાન જીપીએફમાં નાણાં જમા થયાં હતાં. તેને ઉપાડી લેવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જેને લીધે ૧૫ થી ૨૦ વર્ષ જે નોકરી કરી તે પૂરી થઇ ગઇ છે. અત્યારે નિવૃત્તિના આરે ગ્રાન્ટેડ કોલેજોમાં મળેલી નોકરી નવેસરથી ગણાતાં અધ્યાપકની નોકરીનો એકડો ફરી વખત ઘૂંટવાની નોબત આવી છે.