નવી દિલ્હી, તા. ૨૯
એશિયાના સૌથી મોટા અર્થતંત્ર ગણાતા ભારત અને જાપાને મંગળવારે વિઝા નિયમો હળવા બનાવવા સંમતિ સાધી લીધી છે. બંને દેશો વચ્ચે વ્યાપારને વેગ આપવા અને વધુ સહકાર સાધવા માટે આ પગલું લેવાયું છે. તેનો અમલ એક વર્ષમાં કરવા પણ બંને દેશ સંમત થયા હતા. જાપાની વડાપ્રધાન યુકિયો હાકોયામાની ત્રણ દિવસની ભારતયાત્રાના અંતિમ દિવસે ભારતના વડાપ્રધાન મનમોહનસિંહને મળ્યા પછી સરકાર દ્વારા આ જાહેરાત કરાઈ હતી. જાપાને ભારતને સીટીબીટી પર હસ્તાક્ષર કરવા દબાણ કરતાં ભારતે તેની જવાબદારી અમેરીકા અને ચીન પર ઢોળતાં જણાવ્યું હતું કે તેમણે તેને માન્યતા આપવાની પહેલ કરવી જોઈશે.
જાપાન ભારતનું મોટામાં મોટું મદદગાર રહ્યું છે. પરંતુ ભારતે ૧૯૯૮માં અણુધડાકો કર્યા પછી ટોકિયોએ ભારત સામે પ્રતિબંધ જાહેર કર્યો હતો. એ હજી હમણાં જ હળવો બનતાં બંને વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર આરંભાયો છે. આ અંગે અધિકારીઓએ માહિતી આપી હતી તે મુજબ બંને નેતાઓની ચર્ચામાં આ મુદ્દો ઊભો થયો હતો કે બંને દેશ વચ્ચે સર્વાંગી વ્યાપાર અંગે કરાર કરવામાં કડક વિઝા નિયમો જેવા પ્રશ્નોથી અવરોધ થાય છે.
નવી દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું હતું કે મેં વડાપ્રધાન હાતોયામાને વિનંતી કરી છે કે તેઓ જાપાનની વિઝા પદ્ધતિ હળવી બનાવે જેથી બંને દેશોના નાગરિકો વચ્ચેનો સંપર્ક, વ્યાપાર ઝડપથી વિકાસ પામી શકે. જવાબમાં જાપાની વડાપ્રધાને ભારતીય વિઝા પદ્ધતિના નિયંત્રણોની વાત કરી હતી અને એ બાબતમાં વિચાર કરવાની મેં બાંહેધરી આપી હતી તેમ મનમોહનસિંહે જણાવ્યું હતું.
જાપાન સાથે વધતો વ્યાપાર બંનેના મુખ્ય હરીફ ચીન સાથેના સબંધોને નવું પરિમાણ આપતું હોવાનું નવી દિલ્હીનાં સૂત્રોએ જણાવ્યું હતું. બંને દેશો વચ્ચે ૨૦૦૮-૦૯માં ૧૨ અબજ ડોલરનો વ્યાપાર થયો હતો. આવતા વર્ષે તે ૨૦ અબજ ડોલરને આંબે તેવી ધારણા છે. તેની સામે ચીન સાથે જાપાનનો દ્વિપક્ષીય વ્યાપાર ગયા વર્ષે ૨૬૬.૮ અબજ ડોલરનો રહ્યો હતો.
જાપાને ભારતને કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી (સીટીબીટી) પર હસ્તાક્ષર કરવા દબાણ કરતાં ભારતે તેની જવાબદારી અમેરીકા અને ચીન પર ઢોળતાં જણાવ્યું હતું કે અમેરિકા અને ચીને તેને માન્યતા આપવાની પહેલ કરવી જોઈશે પછી આગળ વાત. આ કરારમાં હસ્તાક્ષર કરનાર દેશ અણુપરીક્ષણ કર શકતા નથી.
બંને દેશના વડાઓએ દ્વિપક્ષીય વ્યાપાર ઉપરાંત રિન્યુએબલ ઊર્જા, માળખાકીય યોજનાઓ, સલામતી અને ગ્લોબલ વોર્મિંગ અંગે પણ ચર્ચા કરી હતી. બંને દેશો નિયમિત રીતે સંયુક્ત લશ્કરી કવાયત કરતા રહે છે.
*ભારત-જાપાન દ્વિપક્ષીય વ્યાપાર
-૨૦૦૮-૦૯માં ૧૨ અબજ ડોલર
-૨૦૦૯-૧૦માં ૨૦ અબજ ડોલર(અંદાજ)
-ચીન સાથે જાપાનનો દ્વિપક્ષીય વ્યાપાર ૨૦૦૮-૦૯માં ૨૬૬.૮ અબજ ડોલર