ભાવનગર, તા.પ
ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા વિધાસહાયકની ભરતી માટેની કાર્યવાહી ચાલી રહી છે.શનિવારના વિધાસહાયકની અરજી સ્વીકારવા માટેની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે વિધાસહાયકોની આ અરજીમાં શિક્ષકની નોકરી મેળવવાની લ્હાયમાં કેટલાક ઉમેદવારોએ ડુપ્લીકેટ માર્કશિટ ઘુસાડી દિધી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ડુપ્લીકેટ માર્કશિટને લીધે લાયક અને સક્ષમ ઉમેદવારોને અન્યાય થવાની ભીતિ સેવાઈ રહી છે.શિક્ષણ વિભાગે આ દિશામા તપાસ કરવી જરૃરી બની રહે છે.
આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા વિધાસહાયકોની ૪૮૬ જગ્યા ભરવા માટેની ભરતી પ્રક્રિયાની કાર્યવાહી ચાલી રહી છે. શિક્ષણ વિભાગને શનિવાર સુધીમાં ૪૮૬ જગ્યાઓ સામે અ..ધ..ધ.. ૭ હજાર જેટલીઓ અરજીઓ મળી ચુકી છે.ત્યારે નોકરી મેળવવા માટેની લ્હાયમાં કેટલાક ઉમેદવારોએ ટૂંકો માર્ગ અપનાવતા ધો-૧૨ અને પીટીસીની ડુપ્લીકેટ માર્કશિટ ધુસાડી દિધી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
કેટલાક ઉમેદવારોએ ડુપ્લીકેટ માર્કશિટના આધારે એક કરતા વધુ અરજીઓ અન્ય જિલ્લામાં પણ ઠપકારી દિધી હોવાનું ફરિયાદો ઉઠવા પામી છે. વિધા સહાયકની નોકરી મેળવવા માટે મરણિયા બનેલા અનેક ઉમેદવારોએ ગેરકાનુની માર્ગ અપનાવીને ડુપ્લીકેટ માર્કશિટ જિલ્લા શિક્ષણ વિભાગને પોરવી દેતા લાયક અને મહેનતુ ઉમેદવારોને અન્યાય થવાની સંભાવના ઉભી થવા પામી છે. ખોટા અને ટુંકા માર્ગે નોકરી મેળવવા માટે કેટલાક ઉમેદવારોએ ધો-૧૨ અને પીટીસીની માર્કશિટની કલર ઝેરોક્ષ એવી બખુબી પુર્વક કરવામાં આવી છે કે,માર્કશિટ તદન ઓરજીનલ લાગે..!આ સ્થિતિ વચ્ચે જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો સંખ્યાબંધ અરજીઓ રદબાતલ ઠરી શકે તેમ છે.અને લાયક ઉમેદવારને ફાયદો થઈ શકે તેમ છે.જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા માર્કશિટની ચોકસાઈપુર્વક તપાસ કરવી જરૃરી બની છે.