મુંબઈનો મુદ્દો પૂરબહારમાં ચગ્યો છે. કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગા ધી અને બાળ ઠાકરેના વારસ ઉદ્ધવ ઠાકરે સામસામે આવી ગયા છે. રાજ ઠાકરે તો થોડુંક વધુ કડક વલણ અપનાવી રાતોરાત મરાઠીઓના સર્વોપરી નેતા બનવા ઇચ્છતા હોય તેવું જણાય છે. ભાષાના નામે છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પ્રદેશવાદ પણ જોર પકડી રહ્યો છે. બીજી કે ત્રીજી હરોળના અગ્રણીઓ પરસ્પર વિરોધી નિવેદનો કરી રહ્યા છે. કોઈ પણ પક્ષના કે સરકારના કર્ણધારોએ કાં તો મૌન ધારણ કર્યું છે અથવા હળવાશથી પ્રત્યાઘાતો આપવાનું યોગ્ય માન્યું છે. કોઈ ખોંખારીને ઠાકરે પરિવારને જવાબ આપવાનું સાહસ કરતું નથી. ભાજપ પણ શિવસેના સાથે સંબંધો તોડવાની વાત કરે છે, પણ તે જાહેર કરતાં પણ ભયની લાગણીથી પીડાય છે. ઠાકરે પરિવારની માનસિક સંકુચિતતા અને સંકીર્ણતા હવે હદ વટાવી રહી છે. કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પક્ષ શું દરેકમાં ચોખ્ખું કહેનારા એકાદ બે જ અગ્રણી છે ? આવા મુદ્દે- રાષ્ટ્રવાદના મુદ્દે- તમામ પક્ષોએ એક થઈ, પરસ્પર તમામ પાસાં વિચારીને તત્કાળ એક ઠરાવ પસાર કરીને સાફ સાફ શબ્દોમાં પરિસ્થિતિની ચોખવટ કરવી જરૃરી છે. રાહુલ ગાંધીએ એવું કહ્યું કે, મુંબઈ હુમલા વખતે કમાન્ડોમાં ઉત્તર ભારતીયો કે બિહારી જવાનો હતા, પણ તેનો અર્થ એવો નથી કે મરાઠીભાષી અધિકારીઓ ન હતા ? ખરેખર તેમની શહીદીથી પ્રેરાઈને વધુ ખુવારી ન થાય તેટલા માટે જ આ ઉત્તર ભારતીયોને મુંબઈ મોકલવામાં આવેલા. આખો દેશ એક છે. બધા જ હળીમળીને રહે છે ત્યારે ફક્ત રાજકારણની રમત રમવી તે સહેજ પણ યોગ્ય નથી. કોઈ પ્રદેશની ગમે તેવી જરૃરિયાત સંતોષવા બીજા પ્રદેશ હંમેશા તૈયાર જ રહે છે. વિવિધ પ્રદેશોના લોકો વચ્ચે મનભેદ ઊભો કરવાની પ્રવૃત્તિ યોગ્ય નથી. સહુ પ્રથમ તો મહારાષ્ટ્ર સરકારે જ સક્રિય થવાની જરૃર છે. સાથે કેન્દ્ર સરકારે યોગ્ય પગલાં લેવાં જરૃરી છે. તેલંગણાના મુદ્દે કોણીએ ગોળ વળગાડયો છે. તેવી નીતિ છોડી દેવાની જરૃર છે. ભાષાના નામે કે અન્ય કોઈ મુદ્દે પ્રદેશવાદ
ચાલે તેમ નથી. પ્રજાને હથિયાર બનાવી કોઈ પણ પક્ષે રાજકારણની રમત રમવી ન જોઈએ. મુંબઈ જેવી નગરીમાં કુલ વસ્તીના ૫૮ ટકા લોકો મરાઠીભાષી નથી. આ વાત ઠાકરે પરિવારને સમજાવવાની જરૃર છે. મુંબઈના વિકાસમાં કે સમૃદ્ધિમાં બિનમરાઠીઓનું જ અગત્યનું યોગદાન છે. મુંબઈ કે મહારાષ્ટ્ર કોઈની જાગીર નથી. મરાઠીભાષીઓ બાદ સૌથી વધુ વસ્તી ૨૧ ટકા જેટલી હિન્દીભાષીઓની અને ૧૮ ટકા ગુજરાતીઓની છે. સમગ્ર મુંબઈની વત કરીએ તો ઠાકરે સહિત અડધી વસ્તી ત્યાં આવીને વસી છે. દક્ષિણ ભારતીયો સામે ઠાકરેએ આવી જ ઝુંબેશ ચલાવી હતી, તેથી ધીરેધીરે હવે દક્ષિણ ભારતીયોની વસ્તી ઓછી થતી જાય છે. પરિણામે દક્ષિણનાં પ્રદેશો વધુ સમૃદ્ધ અને વિકસિત બની છે. ઠાકરે પરિવારે અભિનેતા શાહરુખ ખાન વગેરેને ધમકીઓ પણ આપવી શરૃ કરી છે ત્યારે વિચારવું જોઈએ કે ફિલ્મોનું જગત એટલે કે બોલિવૂડ માટે મુંબઈ જાણીતું છે. મુંબઈના અર્થતંત્રનો તે એક આધારસ્તંભ છે.