અંદાજપત્રો રજૂ થવાનો મહિનો શરૃ થયો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનાં બજેટો રજૂ થવાનાં છે. અત્યાર સુધીનાં બજેટોમાં સામાન્ય લોકો માટે ક્યારેય નોંધપાત્ર કરવેરા ઘટયા નથી. પરિણામે બજેટ બાદ ભાવો વધ્યા છે. મોંઘવારી વધી છે અને સામાન્ય લોકોની આશા ઠગારી નીવડી છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવો અંગે વિચારણા કરવા વડા પ્રધાને એક પેનલની રચના કરી હતી. તે પેનલે જે અહેવાલો આપ્યા છે તેમાં ભાવ વધારવા જણાવ્યું છે. જે સૂચન થયું છે તેનો અમલ તો થવાનો જ છે. થોડાક ફેરફાર સાથે. પેનલે એક વાત સારી કરી છે. જો કે આ વાત લાંબા સમયથી દરેક પક્ષની સરકારો કરતી આવી છે
કે, સરકારે સબસિડી ઘટાડવી જોઈએ. આમ તો બંધ જ કરવાની જરૃર છે. સબસિડી ઉપરાંત તમામ ક્ષેત્રે અપાતી રાહતો, છૂટછાટો વગેરે બંધ જ કરવી જોઈએ, કારણ કે તેનો લાભ, હેતુ મુજબ, સામાન્ય પ્રજાને મળતો નથી અને જે લોકો વધુ નાણાં ચૂકવી શકે છે તેમને જ લાભ મળતો હોય છે. આપણા મોંઘવારીપ્રધાન શરદ પવારે સૂર બદલ્યો છે એકાદ-બે અઠવાડિયાથી. તેઓ ભાવ ઘટશે તેવું વારંવાર કહ્યા કરે છે. કેટલીક ચીજવસ્તુઓના ભાવો ઘટયા છે ખરા, પણ જેટલો વધારો થયો હતો તેટલો ઓછો નથી થયો. આવું ક્યારેક જ થાય છે. બાકી તો જરૃર કરતાં વધુ મેળવી તેમાં રાહત આપી હાથ ઉપર રાખવાની પરંપરા છે. પરોક્ષ રીતે જોઈએ તો જેટલી જરૃર હતી તેટલું તો ભાવ વધારનારે મેળવી જ લીધું હોય છે. સમાજમાં સામાન્ય વર્ગ હાલ ખુશ છે કે કેટલીક ચીજવસ્તુના ભાવો ઘટયા પણ તેમને જાણ નથી કે માર્ચ- એપ્રિલમાં પેટ્રોલિયમ પેદાશો જેવી અન્ય જણસોના ભાવોમાં તમામ ઘટાડો ભાવ વધારનારા વસૂલ કરી લેવાના છે. ખેતીપ્રધાન શરદ પવાર તો રાજકારણના જૂના જોગી છે. તેઓ ખેત-વેપાર ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે જાણીતા છે. પ્રધાનમંડળમાં શરદ પવારની આ બીજી ઇનિંગ છે.
પહેલી ઇનિંગમાં દેશમાં ઘઉં હોવા છતાં વિદેશથી મંગાવ્યા હતા અને બીજી ઇનિંગમાં મોંઘવારી વધારવામાં તેમનો ફાળો રહ્યો છે. તેઓ હંમેશાં ઉત્પાદકોની સહકારી સમિતિઓને જ પ્રોત્સાહન મળે તેવું રાજ કારણ રમે છે. આમ સહકારી આંદોલનની મૂળ ભાવના જ મરી પરવારી છે. પરિણામે સહકારી ક્ષેત્રનું મૂળ ઉત્પાદન દૂધ પણ મોંઘું બન્યું છે. ખાનગી લોકો બહુ મોંઘું આપતાં અને ઉત્પાદકોને લાભ મળતો ન હતો તેથી સહકારી પ્રવૃત્તિનો જન્મ થયો હતો. આજે હવે સરકારી હોય કે સહકારી તમામ ક્ષેત્રો ખાનગીક્ષેત્ર જેવાં જ બની ગયાં છે. સામાન્ય વર્ગનો સામાન્ય 'જન' ભૂલાઈ ગયો છે. વિવાદાસ્પદ બીટી રીંગણા વિકસાવનાર કંપની સાથે પણ શરદ પવારના જ ઘનિષ્ઠ સંબંધો છે.
આમ હવે સમય પાકી ગયો છે કે કાં તો શરદ પવાર ભવિષ્યમાં ચૂંટાવા માટે પોતાની જાતને બદલે અથવા પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવે. ટૂંકમાં એટલું જ કહેવાનું કે, ખાંડ સિવાયની ચીજવસ્તુના ભાવોમાં હાલ થતા ઘટાડાથી ખુશ થવાની જરૃર નથી. આગામી એક- બે માસમાં હાલના ઘટાડાને વસૂલવા સાથે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારા માટે તૈયાર રહેવું પડશે. પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધશે એટલે તેની સીધી અસર તમામ પ્રકારની હેરફેર પર પડશે અને શાકભાજી હોય કે ખાદ્યાન્ન તમામના નૂર વધતાં તે સામાન્ય વર્ગના લોકોએ જ ચૂકવવો પડશે. ખાદ્યાન્ન પર આધારિત આંક પણ ૧૭.૪૦થી વધીને ૧૭.૫૬ થયો છે એટલે કે ભાવ ઘટયા છતાં ખાંડ વગેરેના તો ભાવ વધ્યા છે. આમ વધુ મોંઘવારી માટે કમર કસવી પડશે.