યુવાનોમાં ખાસ કરીને કોલેજમાં ભણતી કન્યાઓને પાતળા રહેવાની અને હિરોઇનની જેમ ઝીરો ફીગર જાળવી રાખવાની ઇચ્છા હોય છે અને તે માટે કેટલાક નુસખાઓ પણ તે અપનાવતી હોય છે. શરૃઆતમાં તો તેમને કદાચ સફળતા પણ મળે છે. કેટલીક વાર એવું પણ બને છે કે પાતળા થવામાં જો યોગ્ય રીતે આહાર ન લેવામાં આવે તો શરીર ફરીથી બેડોળ બને છે. પરિણામે તેઓ નિરાશ બને છે. તો પોતાની કાયાને સ્લિમ બનાવવાની કેટલીક ટિપ્સ જોઇએ.
૧. સ્લિમ વ્યક્તિની જેમ જ જમોઃ આહારની પસંદગીની બાબતે કાળજી રાખો. કારણ કે આહાર હંમેશાં હેલ્ધી હોવો જોઇએ અને તેના કારણે આરોગ્ય પર અસર ન થવી જોઇએ. જમતી વખતે ધીમે ધીમે ખાઓ. સામાન્ય રીતે ખાવાનો સમય થાય અને આપણે જમવા બેસીએ તેના બદલે ભૂખ લાગે ત્યારે ખાવાની ટેવ રાખો. ભૂખ લાગે ત્યારે ખાવું અને ૮૦ ટકા પેટ ભરાઇ જાય ત્યારે ખાવાનું બંધ કરવું જેથી થોડું ખાલી પેટ હોય તો પચવામાં કોઇ મુશ્કેલી ન પડે.
૨. પરિવર્તન લાવોઃ જીવનમાં પરિવર્તનને સ્થાન આપો. હકારાત્મક બનો અને નકારાત્મક વિચારોને મગજમાંથી ફેંકી દો. તેનાથી સફળતાનો માર્ગ ખૂલી જશે. જિંદગીમાં ખાવા-પીવામાં પણ પરિવર્તન લાવો, જીવનશૈલી પણ બદલવાથી જરૃર ફાયદો થાય છે.
૩. પહેલાં યોજના બનાવોઃ જ્યારે તમે કોઇ કાર્ય કરતાં નથી અને એમને એમ બેસી રહો છો ત્યારે મન ભૂખની શોધમાં હોય છે. માનવીને જ્યારે ભૂખ લાગે છે એટલે ભૂખ્યા માનવીની જેમ અનાજ અને ખાવાની વસ્તુઓને શોધે છે.
જમવાનું મળ્યા પછી તે ભૂખ્યા માનવીની જેમ ભોજન પર તૂટી પડે છે. તેથી કોઇ યોજના બનાવો અને મનને સતત કાર્યશીલ રાખો. કોઇ નવું લક્ષ્ય બનાવો અને તેને પામવા સતત પ્રયત્નશીલ રહો.
૪. જમતી વખતે ટીવીથી દૂર રહોઃ આજકાલ ટીવી આપણા સૌના જીવનનું અગત્યનું અંગ બની ચૂક્યું છે. આપણે જમતી વખતે પણ ટીવી જોવાનું છોડતા નથી. પરિણામે ટીવી જોતી વખતે મગજનો ઉપયોગ કર્યા વગર ખાતા હોવાથી જંકફૂડ કે હેલ્ધીફૂડની સમજ રહેતી નથી. તે ઉપરાંત કેટલી માત્રામાં આપણા પેટમાં આહાર ગયો તેની પણ આપણને ખબર હોતી નથી. તેથી ઘણી વાર આપણે ભૂખ કરતાં વધારે આહાર લઇ લઇએ છીએ.
વળી વધુ ભોજન લેવાથી અન્નનું પાચન થતું નથી અને પેટ અનેક રોગોનું શિકાર બને છે.
૫. સફરજન પાસે રાખોઃ હંમેશાં હેલ્ધીફૂડ સાથે રાખવાથી ગમે તેવો કચરો પેટમાં નાખવાની ઇચ્છા નહીં થાય. સફરજનને પાસે રાખવાથી જ્યારે પણ મન કોઇ ચીજ ખાવાની ઇચ્છા વ્યક્ત કરે તો તરત જ સફરજન ખાઇ શકાય. ફળોથી સ્વાસ્થ્ય ઘણું સારું રહે છે.
૬. શોપિંગ કરતાં પહેલાં ઘેરથી નાસ્તો કરીને નીકળોઃ આ એક સારી ટેવ છે. કારણ કે ભૂખ્યાપેટે બહાર શોપિંગ કરવા નીકળવાથી બહારનો ગમે તેવો ખોરાક પેટમાં ઠાલવશો, જે તમે પાછા ભરપેટ આરોગશો. આ બધી વસ્તુઓ શરીરને નુકસાન કરશે. આવી સ્થિતિ ટાળવા ઘેરથી જ નાસ્તો કરીને નીકળવાથી બહારનું કશું ખાવાની ઇચ્છા થશે નહીં.
૭. વધેલં ભોજન ખાવાનું છોડી દોઃ ઘણી વાર આપણે બચેલી વસ્તુઓ ખાવાની ટેવ ધરાવતા હોઇએ છીએ. તેના બદલે બચેલી વસ્તુઓને ફ્રીઝમાં મૂકી શકાય. ફ્રીઝમાં રાખી મૂકેલી વસ્તુ જો વધુ સમય પડી રહે તો તેને ફેંકી દેવી જોઇએ. કોઇ વસ્તુ વધી હોય એટલે તેને પતાવી જ દેવી એવું ન હોવું જોઇએ. કારણ કે વાસી ખોરાક શરીરને નુકસાન કરે છે.
૮. આત્મવિશ્વાસ જાળવી રાખોઃ વજન ઘટી ગયા પછી તેને જાળવી રાખવું એ તમારા હાથમાં છે. તેથી તમારા પ્રયાસોને બિરદાવો અને આત્મવિશ્વાસ જાળવી રાખો.માત્ર આટલું જ વજન ઘટયું એના બદલે આટલું તો વજન ઘટાડયું તેના પર ભાર મૂકો અને આ પ્રયત્નો ચાલુ રાખીશ તેવો આત્મવિશ્વાસ કેળવો.