વડોદરા, તા. ૨૦
આજરોજ મકરપુરા જીઆઇડીસી વીસીસીઆઇ ખાતે બિન નિવાસી ગુજરાતીઓની મદદ માટે ઉભા કરાયેલા એનઆરજી સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય અને પ્રવાસન મંત્રી જય નારાયણ વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું.
એનઆરજી સેન્ટરના ચેરમેન નિલેશ શુક્લાએ ગુજરાતના સૌ પ્રથમ સેન્ટર વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરામાં સરકારી અને ખાનગી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તેની સ્થાપના કરવામાં આવી છે. તેમણે સેન્ટર દ્વારા કરવામાં આવનાર કામો તથા વિવિધ પ્રકારની સુવિધાઓ બાબતે જાણકારી આપી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર અને એનઆરજી કમિટીના અધ્યક્ષ વિજય નહેરાએ વીસીસીઆઇને સેન્ટરની શરૃઆત કરવામાં સરકારની મદદ કરવા બદલ ધન્યવાદ આપી તેમણે સરકાર દ્વારા વીસીસીઆઇને કરવામાં આવનાર મદદ અને બિન નિવાસી ગુજરાતીઓને તેમના પ્રશ્રનો હલ કરવામાં કઇ રીતે મદદ રૃપ થશે તેની જાણકારી આપી હતી.
ત્યારબાદ મંત્રી જય નારાયણ વ્યાસ કાર્યક્રમમાં પહોંચ્યા ન હોવાથી ધારાસભ્યોએ બિન નિવાસી ગુજરાતીઓનું વડોદરામાં અને ગુજરાતમાં મહત્વ સમજાવ્યું હતું.કાર્યક્રમમા અંદાજે બે કલાક મોડા આવેલા જય નારાયણ વ્યાસે શહેરના એનઆરજીઓ અને ઉપસ્થિત મહેમાનોની માફી માંગતા તેમણે સરકરાનાં એનઆરજી વિભાગ પર પ્રકાશ પાડીને ગુજરાત રાજ્યનું દેશમાં અને વિશ્વમાં સ્થાન બાબતે જાણકારી આપી હતી. તેમણે ગુજરાતીઓને એક વેલ્યુએબલ પ્રોડક્ટ ગણાવતાં ઉમેર્યુ હતં કે, બિન નિવાસી ગુજરાતીઓ પ્રવાસ અર્થે કે પછી રોકાણ કરવા માટે ગુજરાતમાં આવે તે હેતુથી એનઆરજી સેન્ટરની શરૃઆત કરવામાં આવી છે અને તેમાના પ્રશ્રના પણ ઝડપી રીતે હલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સરકારને બિન નિવાસી ગુજરાતીઓના નાણામાં નહિ પરંતુ તેમની બુધ્ધિ , અનુભવો અને ક્ષમતાઓમાં રસ છે.
વડોદરા શહેરના શહેરના મેયર બાલ કુષ્ણ શુક્લા, ધારાસભ્યો યોગેશ પટેલ, ભુપેન્દ્ર લાખાવાલા અને જીતેન્દ્ર સુખડિયા સહિત એનઆરઆઇ પેરેન્ટસ સંસ્થાના સભ્યો અને વીસીસીઆઇના સભ્યોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.