પટણા / નવી દિલ્હી, તા. ૧૦
મહિલા અનામત મુદ્દે પક્ષમાં મતભેદો હોવાની વાતને સ્વીકારતા બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર અને પક્ષના વડા શરદ યાદવે જેડી(યુ)માં ભંગાણ પડશે તેવી શક્યતાઓ નકારી કાઢી છે. પક્ષના ભાગલા પછી નીતિશકુમાર નવો પક્ષ રચશે તેવા અહેવાલોને પણ રદિયો આપવામાં આવ્યો છે. રાજ્યસભામાં મંગળવારે મહિલા અનામત ખરડો રજૂ કરાયો ત્યારે નીતિશકુમાર અને પક્ષના અન્ય સભ્યોએ ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે શરદ યાદવે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ પછી પક્ષમાં ભંગાણ સર્જાશે અને નીતિશ નવો પક્ષ રચશે તેવી અફવાઓ રાજકીય તખતા પર વહેતી થઈ છે.
જો કે નીતિશકુમારે સ્પષ્ટતા કરી હતી કે, ખરડાને ટેકો આપવાના મુદ્દે જેડી(યુ)માં મતભેદો છે પણ તેનાં કારણે પક્ષમાં ભંગાણ પડશે નહીં. જેડી(યુ)એ ભાજપનો ચુસ્ત ટેકેદાર છે અને બિલને ટેકો આપે છે. બિહારમાં આ વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ ખરડાનું વધારે મહત્ત્વ છે.
નીતિશકુમારે પત્રકારોને કહ્યું હતું કે, લોકસભામાં મહિલા બિલને ટેકો આપવાના મુદ્દે મતભેદો છે પણ તેનાંથી પક્ષમાં કોઈ કટોકટી કે ભંગાણ સર્જાશે નહીં. નીતિશકુમાર અને શરદ યાદવે આ મુદ્દે પક્ષમાં ભાગલા પડશે તેવી શક્યતાને નકારી કાઢી છે. જેડી(યુ)ના પાંચ સભ્યોએ ગઈકાલે રાજ્યસભામાં ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે શરદ યાદવે તેના હાલના સ્વરૃપમાં બિલનો કટ્ટર વિરોધ કર્યો હતો. લોકસભામાં જેડી(યુ)ના ૨૦ સભ્યો છે અને તેમાંનાં મોટા ભાગના સભ્યોનો તમને ટેકો છે ત્યારે તમે નવો પક્ષ રચશો કે કેમ તેવા પ્રશ્નને નીતિશકુમારે અવગણ્યો હતો.
શરદ યાદવને જ્યારે પૂછવામાં આવ્યું કે પક્ષમાં ભાગલા પડશે કે કેમ ત્યારે તેમણે કહ્યું હતું કે આ પક્ષની આંતરિક બાબત છે જેનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે. નીતિશ અલગ પક્ષ રચશે તેવા અહેવાલને યાદવે ફગાવ્યો હતો. યાદવે કહ્યું હતું કે દેશની મોટા ભાગની જનતા ખરડાનો વિરોધ કરે છે ત્યારે અમે ખરડાનો વિરોધ ચાલુ રાખીશું.