કોલકાતા, તા. ૧૦
ચાની દુકાનવાળાની હત્યાનું કાવતરું અને પ્રયાસના આરોપસર આજીવન કેદની સજા મેળવનાર હલદીરામ ભૂજિયા કંપનીના માલિકની જામીન અરજી કોલકાતા હાઈ કોર્ટે બુધવારે ફગાવી દીધી હતી. જસ્ટિસ ડી. પી. સેનગુપ્તાના વડપણ હેઠળની હાઈ કોર્ટની ડિવિઝનલ બેન્ચે પ્રભુશંકર અગ્રવાલની જામીનઅરજી ફગાવી દીધી હતી.
પ્રભુશંકરને કોલકાતા સિટી સેશન્સ કોર્ટે ૨૯ જાન્યુઆરીના દિવસે અન્ય ચાર આરોપીઓ સાથે આજીવન કેદની સજા ફટકારી હતી. કોલકાતાના બરાબાઝાર વિસ્તારમાં આવેલા નંદરામ બોઝ રોડ ઉપર અગ્રવાલની આધુનિક ફૂડ પ્લાઝા દુકાન હતી. ચાની કીટલીવાળાના ભાણિયા પ્રમોદ શર્માના જણાવ્યા મુજબ તેના મામાની ચાની દુકાન આ ખાણી-પીણીની ભવ્ય દુકાનના પ્રવેશદ્વાર સામે હતી. પ્રભુશંકર માનતા હતા કે કીટલીના કારણે તેમની દુકાનનો દેખાવ બગડી જતો હતો. એટલે ૩૦ માર્ચ ૨૦૦૫ના દિવસે અગ્રવાલના ભાડૂતી માણસે કીટલીવાળા ઉપર ગોળીબાર કર્યો હતો. તેમાંની એક ગોળી કીટલીવાળાના પગમાં વાગી હતી અને અન્ય ગોળીથી તે ગંભીર ઘવાયો હતો.