નવી દિલ્હી, તા. ૧૦
રાજ્યસભામાં સોમવારે મહિલા અનામત ખરડાનો ઉગ્ર વિરોધ કરીને ગૃહના વેલમાં ધસી જઈને ચેરમેન પાસેથી ખરડાની નકલ આંચકીને તેના લીરેલીરા ઉડાડવાનું બિનસંસદીય દુષ્કૃત્ય કરનાર સાત સાંસદોને મંગળવારે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનું આકરું પગલું લેવામાં આવ્યું હતું. જો કે આરજેડી, એસપી અને એલજેડીના સસ્પેન્ડ કરાયેલા આ સાંસદોએ તેમની સામેના પગલાંના વિરોધમાં ગૃહમાં જ ધરણાં કરતાં માર્શલોએ તેમને ઊંચકીને ગૃહની બહાર કાઢવા પડયા હતા.જો આ સભ્યો માફી માગે તો તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવશે તેવા અહેવાલોનાં સંદર્ભમાં સસ્પેન્ડ કરાયેલા આ સાત સાંસદોમાંથી બે સાંસદોએ તેમના આવાં કૃત્ય અંગે માફી માગવાનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે અમે ઓબીસી, દલિતો અને લઘુમતી મહિલાઓ માટે અનામત બેઠકોની જોગવાઈની માગણી કરી રહ્યા છીએ તેથી માફી માગવાનો સવાલ જ નથી.
સમાજવાદી પક્ષના કમાલ અખ્તરે કહ્યું હતું કે, અમારું સભ્યપદ રદ થાય તો પણ અમે માફી માગીશું નહીં. અગાઉ જેડી(યુ)ના પણ હવે અપક્ષ રહેલા સાંસદ એજાઝ અલીએ કહ્યું હતું કે અમને માર્શલો દ્વારા ગૃહની બહાર કાઢવા માટે સરકારે દેશની માફી માગવી જોઈએ. બજેટ સત્રની સમાપ્તિ સુધી સાત સાંસદોની ગૃહમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા પછી આ સાંસદો પાર્લામેન્ટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. ગૃહમાંથી અમને બહાર કાઢીને સરકારે સરમુખત્યારશાહી દર્શાવી છે તેવું અખ્તરે કહ્યું હતું.