નવી દિલ્હી, તા.૧૦
મહિલાઓ માટે સશક્તિકરણનો માર્ગ ખુલ્લો થયો છે. મંગળવારે રાજ્યસભામાં ૧૦૮મા બંધારણીય સુધારાને બહાલી આપવામાં આવી જેને મહિલા અનામત બિલ તરીકે ઓળખવામાં આવે છે. આમ હવે મહિલાઓ પણ રાજકારણમાં તેમનું યોગદાન આપી શકશે અને વિકાસનાં કાર્યો આગળ ધપાવી શકશે.
આમ તો આ બિલને વર્ષ ૨૦૦૮માં રાજ્યસભામાં રજૂ કરાયું હતું. જેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત કુલ બેઠકોમાંથી પણ ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. સંસદમાં એટલે કે હવે લોકસભામાં આ ખરડો પસાર થયા પછી તેને કાયદાનું સ્વરૃપ મળતાં જ મહિલાઓ માટે અનામત વિસ્તાર નક્કી કરવાની જટિલ કાર્યવાહીનું પાલન કરવાનું રહેશે. કેન્દ્રના કાયદા પ્રધાન વીરપ્પા મોઈલીના જણાવ્યા મુજબ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં મતવિસ્તાર નક્કી કરવા ડિલિમિટેશન કમિશનની જેમ અલગ પંચ રચવામાં આવશે.
લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં બિલની જોગવાઈઓ મુજબ એસસી અને એસટી માટે અનામત કુલ બેઠકોમાંથી ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જુદા જુદા મતવિસ્તારો માટે રોટેશનમાં અનામત બેઠકો ફાળવવામાં આવશે. લોકસભા અને રાજ્ય વિધાનસભામાં અનામત બેઠકો ૧૫ વર્ષ માટે લાગુ પડશે. પહેલી બે સામાન્ય ચૂંટણીઓ પછી રચાયેલા પ્રત્યેક હાઉસમાં નોમિનેશન માટે એક બેઠક એંગ્લો-ઈન્ડિયન કોમ્યુનિટી માટે અનામત રાખવામાં આવશે અને પછી આ કોમ્યુનિટીની મહિલા માટે બેઠક અનામત રખાશે નહીં.