બેંગલોર, તા.૧૦
કેટલાય દિવસથી ભૂગર્ભમાં જતી રહેલી તામિલ અભિનેત્રી રંજિતાએ સ્વામી નિત્યાનંદ સાથેના પોતાના સંબંધોને વાજબી ઠેરવતાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે ભક્તિભાવે સ્વામીજીની સેવા કરતી હતી. સ્વામી નિત્યાનંદ સાથેની તેની વીડિયો જાહેર થયા પછી ભૂગર્ભમાં જતી રહેલી રંજિતાએ મંગળવારે જાહેરમાં આવીને પોતાના સ્વામી સાથેના સંબંધોને દિવ્ય અને પવિત્ર ગણાવતાં કહ્યું હતું કે, સ્વામીજી ભગવાનનો અવતાર છે અને હું તેમની ભક્ત છું.
એક તામિલ વેબસાઈટ પર રંજિતાએ જણાવ્યું હતું કે, તે સ્વામીજીને ઘણા વખતથી ઓળખતી હતી. તેમણે મારી સતત છીંકો આવવાની તકલીફને માત્ર એક જ દિવસમાં મટાડી આપી હતી. તેના સ્વામીજી સાથેના વાંધાજનક સ્થિતિના ફોટોગ્રાફ અને વીડિયો અંગે રંજિતાએ કહ્યું હતું કે, મીડિયાએ આખી વાતને ખોટી રીતે ચગાવી દીધી છે.
મારા સ્વામીજી સાથેના સંબંધો તદ્દન પારદર્શક છે. તેમની ખરી ભક્ત તરીકે હું તેમના ઓરડામાં જઈ તેમને માલિશ કરી આપવાનું તથા તેમને ભોજન કરાવવાનું કામ કરતી રહી છું. અનેક વખત હું તેમના ઓરડામાં મોડે સુધી રોકાતી હતી. આશ્રમના બધા જ લોકો આ વાત જાણતા હતા.
રંજિતાએ ખૂબ કુશળતાપૂર્વક માત્ર સેવા શબ્દનો જ ઉપયોગ કર્યો હતો. સેક્સના સંબંધો અંગે કોઈ જ વાત કરી નહોતી. નિત્યાનંદના એક જમાનાના ખાસ માણસ લેનિન કરૃપ્પન દ્વારા આ વીડિયો બનાવાઈ હોવાની વાતે તેણે કહ્યું હતું કે, એ વાતની મને ખબર નથી. પરંતુ હું મારા સ્વામીજીને ઓળખું છું. તેઓ પવિત્ર આત્મા છે અને પવિત્ર થઈને આમાંથી બહાર નીકળી જશે. રંજિતાએ તેના પતિ સાથેના વિખવાદને પણ અફવા ગણાવીને કહ્યું હતું કે, તેનું દામ્પત્ય સરસ ચાલે છે.
આ અંગે સ્વામી નિત્યાનંદ પોતાની રજૂઆત ૧૮મી માર્ચે કરશે તેમ તેમના પ્રવક્તા નિત્ય સચ્ચિદાનંદે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે, આશ્રમ દ્વારા કાયદાકીય સલાહ પણ મેળવવામાં આવી છે.