વાપી. તા. ૧૦
સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં સી.બી.આઇ.ને પ્રાપ્ત થયેલી ફરિયાદોને પગલે એ કેન્દ્રીય એજન્સીની એન્ટી કરપ્શન વિંગની સક્રીયતા અત્રે વધી રહેલી જણાઇ છે. અગાઉ જીલ્લા પંચાયતનાં કાર્યપાલક ઇજનેર તથા સેલ્વાસ મ્યુનિસીપલ કાઉન્સીલનાં ચીફ ઓફિસરનો બેવડો કાર્યભાર ધરાવતા સુરેશ પટેલને મુંબઇ ઓફિસનાં આંટાફેરા કરાવ્યાની વાત હજી તાજી જ છે.
એટલામાં મંગળવારે સીબીઆઇની ટીમે દાદરા - નગરહવેલીનાં વિદ્યુત વિભાગની કચેરીમાં પગરણ માંડયા હતા. આ કચેરીમાં કાર્યપાલક ઇજનેર તંબોલી, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર એચ.એમ. પટેલ, જુનિયર એંજીનીયર સુરમા વિ. જેવા અધિકારીઓ પાસેથી સીબીઆઇની ટીમે ખડોલી સ્થિત એક એકમ વિરૃધ્ધ કેટલાક વર્ષો પૂર્વે વિજચોરીનાં થયેલા વર્ણવાતા પ્રકરણની વિગતો મેળવવાની કવાયત આદરી હોવાનું સમજાય છે.
તત્કાલિન જીલ્લા કલેકટર વિજયકુમારનાં પ્રયાસોથી થયેલી રેડમાં આ એકમની અધધ થઇ જવાય એ પ્રકારની વિજચોરીનું રેકેટ બહાર આવ્યુ હતું. અને વિદ્યુત વિભાગનાં સબ સ્ટેશનમાં અલગથી મીટર લગાવીને આયોજનબધ્ધ ઢબે વિજચોરી થતી હોવાનું જણાયેલુ હતુ. પરંતુ પાછળથી આ પ્રકરણને ધરબી દેવાયુ હતું. હવે ખાતાનાં જ કોઇક જાણભેદુએ સીબીઆઇને આ મસમોટા વિજચોરીનાં પ્રકરણની જન્મકુંડળી પકડાવી દેતા એની ખણખોદ શરૃ થયાનું જાણવા મળે છે.
દાદરા-નગરહવેલીનાં વિદ્યુત વિભાગની ખાયકી જાણીતી છે. હાલમાં જ વિજપ્રવાહની ફાળવણીમાં એક કેવીએનાં રૃ. ૧૨૦૦ થી ૧૫૦૦ નાં ખર્ચની વિવિધ કથાઓ ઉદ્યોગ આલમમાં ચર્ચાનું કારણ બનેલી છે. એટલે સીબીઆઇ કે કોઇપણ આવે પણ હમ નહીં સુધરેંગેનુ આ પ્રદેશનાં સરકારી બાબુઓનું વલણ સુધરે એવા કોઇ અણસાર મળતા જણાતા નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે સમયાંતરે ભ્રષ્ટાચારની ફરિયાદ મળતા દાદરા નગર હવેલીમાં આવેલ વિવિધ સરકારી કચેરીઓમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે છે. તે અંતર્ગત વધુ એક વખત આજે તપાસ કરવામાં આવી હતી. જોકે, આજની આ તપાસ દરમિયાન સીબીઆઈને હાથે કોઈ ઝડપાયુ ન હતું.
જ્યારે અગાઉ તપાસમાં કેટલાક અધિકારીઓ લાંચ લેતા ઝડપી પાડવામાં અધિકારીઓને સફળતા મળી હતી.