સુરત, તા.૧૦
મોકડ્રિલમાં ડીસીપી ત્રિવેદીએ કરેલા ફાયરિંગના કારણે એટીએસના અધિકારી સૈયદને ઘણી બધી રીતે તકલીફ ભોગવવી પડી રહી છે. જીવના માથે ઊભું થયેલું જોખમ માંડ ટળ્યું તો હવે સારવાર બદલ હોસ્પિટલે આપેલું પોણા બે લાખનું બિલ સૈયદે ભોગવવાનો વારો આવતાં પરિવારજનો બરાબર અકળાયા છે.
સુરત પોલીસે રાજયના એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ સાથે મળીને આતંકવાદી હુમલા વેળાની સ્થિતિનો અભ્યાસ કરવા મોકડ્રિલનું આયોજન કર્યું હતું.
એરપોર્ટ ખાતે ૨૪મી ફેબ્રુઆરીએ યોજાયેલી મોકડ્રિલમાં લોડેડ રિવોલ્વર લઇને ગયેલા ત્રિવેદીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું અને એમાં સૈયદ ઘવાયા હતા. આ ઘટના અંગે ડીસીપી ડી.આર. પટેલને તપાસ સોંપવામાં આવી હતી.
પટેલે સોમવારે વિક્ટીમ એવા પીઆઇ સૈયદનું નિવેદન લીધું હતું. પટેલે આ તપાસમાં ત્રિવેદીએ બેદરકારી દાખવી હતી કે કેમ એ મુદ્દાની જગ્યાએ ત્રિવેદીએ કોઇ રાગદ્વેષ રાખી જાણી જોઇને ગોળી મારી હતી કે કેમ એ રીતના પ્રશ્નો પૂછતા સૈયદ અકળાયા હોવાનું કહેવાય છે. આ કેસને હત્યાના પ્રયાસના કેસની તપાસ કરતા હોય એ રીતે ગૂંચવવાના કરાઇ રહેલો પ્રયાસ રાજ્યના પોલીસબેડામાં ચર્ચાસ્પદ બન્યો છે.
પહેલા ઉપરી અધિકારીની લાપરવાહીથી પેટના ભાગે બે ગોળી વાગવાથી થયેલા શારીરિક નુકસાન બાદ આવી બેદરકારી દાખવનારને બચાવવા માટે શરૃ કરાયેલા કાવાદાવાનો માનસિક ત્રાસ સહન કરી ચૂકેલા સૈયદને છેલ્લે કમરતોડ આર્િથક ફટકો પણ પડયો છે.
સૂત્રોના કહેવા પ્રમાણે સૈયદની મિશન હોસ્પિટલમાં કરાયેલી સારવારનું ૨.૭૫ લાખ રૃપિયાનું બિલ ફટકારવામાં આવ્યું હતું. આ બિલના નાણાં સૈયદે ઘરમાંથી ચૂકવવા પડતાં તેમનો પરિવાર કફોડી હાલતમાં મુકાઇ ગયો છે. સૈયદના એક ભાઇ યુકે રહે છે તેમણે મોકલેલા રૃપિયાથી બિલની ચૂકવણી શક્ય બની હતી.
રાજ્ય સરકારે એટીએસના તમામ અધિકારીઓનો ૧૪ લાખ સુધીનો વીમો ઉતાર્યો છે. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામે એને ૧૪ લાખ અને જો ઇજા પામે એ અધિકારીને ઇજા અથવા તો એને કારણે થતી કાયમી ખોડખાંપણ પ્રમાણે વળતર ચૂકવવાની જોગવાઇ આ વીમામાં છે.
સૈયદ કોઇ આતંકવાદી હુમલા આતંકવાદીનો ગોળીનો ભોગ બન્યા નથી. તેઓ આતંકવાદી હુમલાની મોકડ્રિલમાં એક ઉચ્ચ અધિકારીની લાપરવાહીનો ભોગ બન્યા હોય તેમને વીમાનું કવચ મળી શકે એમ નથી. આ ઉપરાંત રાજય સરકારે પણ સૈયદનું બિલ ભરવાની વાતે હાથ ઊંચા કરી દીધા હતાં.
ઉચ્ચ અધિકારીઓએ બિલ ભરવા વેલ્ફેરમાંથી લોન લેવાની સૂફિયાણી સલાહ આપતા સૈયદનો પરિવારજનો અકળાયા છે.