અમદાવાદ, તા.૧૦
કસ્ટમ્સ ડયુટીની ચોરીના કેસમાં સીબીઆઈની ધરપકડના ગણતરીના જ કલાકોમાં અને રજાના દિવસ હોવા છતાં અદાણી જૂથના રાજેશ અદાણીને જે રીતે વચગાળાના જામીન આપવામાં આવ્યા તેની કાયદેસરતાને પડકારતી એક જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં દાખલ થઈ છે. એટલું જ નહીં, અદાણી પોર્ટ માટે મુંદ્રા ખાતે એસઈઝેડના નામે જે જમીનો મેળવાઈ, તે જમીનો દુબઈ પોર્ટ વર્લ્ડને વેચી મારવામાં આવી તે સમગ્ર કિસ્સામાં સીબીઆઈની તપાસ યોજવાની પણ આ પિટિશનમાં માંગ કરવામાં આવી છે.
હાઈકોર્ટના એડ્વોકેટ ગિરીશ એમ. દાસે દાખલ કરેલી આ જાહેર હિતની આ અરજીની વિગતો આપતાં કહ્યું હતું કે, સમાજના સામાન્ય વર્ગના લોકો જ્યાં ન્યાય મેળવવા લાંબો સમય સુધી વલખાં મારે છે ત્યારે સમૃદ્ધ વર્ગ માટે ન્યાયતંત્ર સહેલાઈથી ઉપલબ્ધ બનતું હોય તેવા વિશેષાધિકારો ભોગવે છે. આમ, સમાજના બહોળા વર્ગના હિતને ધ્યાનમાં રાખી આ પિટિશન કરવામાં આવી છે.
તેમની અરજીમાં મુખ્ય મુદ્દો એ રજૂ કર્યો છે કે, હાઈકોર્ટના નિયત કામકાજના સમય સિવાય પણ અરજીઓ પર સુનવણી યોજાય છે કે નહીં અથવા હાઈકોર્ટના કોઈ જજને આ માટે ‘અર્જન્ટ ચાર્જલ્લ સોંપાયો છે કે નહીં તેની કોઈ જ સ્પષ્ટતા નથી. જો આવી કોઈ વ્યવસ્થા હોય તો તેની હાઈકોર્ટ દ્વારા તમામને જાણ થાય તે રીતે સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માંગ કરી છે.
રાજેશ અદાણીના કિસ્સામાં મોડી સાંજે હાઈકોર્ટના જજના નિવાસે જઈ અદાણીના વકીલોએ હેબિયસ કોર્પસ અરજી રજૂ કરી અને જજે તેમને વચગાળાના જામીન મંજુર કર્યા તે અંગેની કાયદેસરતાને જ આ પિટિશનમાં પડકારવામાં આવી છે. સાથે આ અરજીમાં એવી પણ માંગ કરી છે કે, સંબંધિત જજના ન્યાયિક અધિકાર ક્ષેત્રમાં ન હોવા છતાં આ અરજી સાંભળી હોવાથી તેમણે શિસ્તનો ભંગ કર્યો છે અને આ અંગે તેમની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આ કાર્યવાહીની જાણ લોકસભાના સ્પીકર, દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને કરવી જેથી તેઓ આ સંદર્ભમાં જરૃરી પગલાં ભરી શકે તેવી પણ અરજદારે માંગ કરી છે.
આ પિટિશનમાં અદાણી ઉદ્યોગજૂથ સામે પણ અનેક શંકાઓ વ્યક્ત કરી આ જૂથના મુંદ્રા ખાતેના સાહસે જે રીતે યુનાઈટેડ આરબ અમીરાતની ડીપી વર્લ્ડને જેટ્ટી બાંધવાનો કોન્ટ્રાક્ટ આપી રાજ્ય અને દેશની સુરક્ષા સામે જોખમ સર્જ્યું છે તે અંગે તથા અદાણી પોર્ટ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસેથી કોઈ જ પરવાનગી મેળવ્યા વિના જ જમીન ખરીદી ડીપી વર્લ્ડને વેચી મારવામાં આવી હોવા અંગે સીબીઆઈની તપાસની પણ માંગ કરવામાં આવી છે. જાહેર હિતની આ અરજી એસસીએ ૩૨૯૭-૨૦૧૦ પર આવતા સપ્તાહે સુનવણી યોજાય તેવી શક્યતા છે.
જસ્ટિસ રેખાબેનના હુકમની કાયદેસરતા પડકારાઈ !
અમદાવાદ :પીઆઈએલમાં જસ્ટિસ રેખાબેન દોશીતે રાજેશ અદાણીની હેબિયસ કોર્પસ અરજીમાં આપેલા વચગાળાના જામીનની કાયદેસરતાને પણ પડકારી છે. અરજદારના દાવા મુજબ, જેમને ગેરકાયદે અટક હેઠળ રાખ્યા હોય કે ગોંધી રાખવામાં આવ્યા હોય તેમાંથી છોડાવવાની અરજી એટલે હેબિયસ કોર્પસ. જ્યારે જેમની પોલીસ કે સીબીઆઈ જેવી સત્તાના ધરપકડ વોરંટ સાથે અટકાયત કે ધરપકડ થઈ હોય તેઓ મુક્તિ માંગતી અરજી એ જામીનની અરજી કહેવાય. આમ આ બંને વિરોધાભાસી પરિમાણ ધરાવે છે. વળી, હાઈકોર્ટમાં હેબિયસની અરજી માત્ર ડિવિઝન બેન્ચ સાંભળતી હોવા છતાં આ કિસ્સામાં સીંગલ જજે હેબિયસની સુનવણી યોજી હુકમો કર્યા હોવાથી તેની કાયદેસરતા ટકી શકતી ન હોવાનો દાવો કર્યો છે.
guvnlના વીજ ખરીદીની બીડમાં અદાણી ગેરલાયક
ગાંધીનગર, તા, ૧૦
ગુજરાત ઊર્જા વિકાસ નિગમે ૨૨૦૦ મેગાવોટના લાંબા ગાળાના વીજ ખરીદી માટેના બિડને ગેરલાયક ઠેરવ્યો છે. અદાણી ગ્રૂપે લાંબા ગાળાના વીજ કરાર માટે જીયુવીએનએલમાં બિડ ભર્યું હતું તે ટેક્નિકલ તબક્કા પર જ ગેરલાયક હોવાથી નીકળી ગયું છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બિડ જીયુવીએનએલની શરતોને આધિન ન હોવાથી ગેરલાયક ઠેરવવામાં આવ્યું છે. બિડમાં એવી શરત મૂકવામાં આવી છે કે, વીજ ઉત્પાદન માટે જરૃરી કોલસા કે લિગ્નાઇટ વગેરેનો બળતણ ક્યાંથી મેળવશે? એ અંગે શુ વ્યવસ્થા કરાઇ છે તે દર્શાવવાનું હોય છે. આ ફ્યુઅલ લિન્કેજ દર્શાવવામાં અદાણી નિષ્ફળ ગયું છે. અદાણીએ બિડમાં ફ્યુએલ લિન્કેજ ક્યાંથી મેળવશે તે દર્શાવ્યું નથી.
અદાણી પાવરે તાજેતરમાં ૧૦૦૦ મેગાવોટ વીજળી રૃ. ૨.૩૫ના યુનિટ દીઠ ભાવથી આપવાના જીયુવીએનએલના કરારમાં પીછેહઠ કરીને ખસી જવાની જીયુવીએનએલને નોટિસ પાઠવી હતી. આના અનુસંધાનમાં જીયુવીએનએલએ અદાણી પાવરના નિર્ણયને ગુજરાત વીજ નિયમન પંચમાં પડકાર્યો છે. જો અદાણી ૧૦૦૦ મેગાવોટનો પાવર આપવામાંથી છટકી જાય તો રાજ્યની તિજોરીને લગભગ રૃ. ૭૦૦ કરોડનો ફટકો પડે એમ છે. અદાણી લંબા સમય સુધી રૃ. ૨.૩૫ના ભાવે વીજળી આપવામાં નુકસાન જુએ છે. તેને ખુલ્લા બજારમાં રૃ. ૩.૫૦નો ભાવ વળી શકે એવી સંભાવના છે. અદાણીએ ભરેલા બિડમાં યુનિટ દીઠ રૃ. ૨.૩૫ના ભાવે ૧૦૦૦ મેગાવોટચ વીજળી ૨૫ વર્ષ સુધી આપવાની બાંયધરી આપવામાં આવી હતી. અદાણી આ વીજ ઉત્પાદન માટે કોલસો વિદેશથી આયાત કરવાની હતી. પરંતુ સપ્લાયનો કરાર રદ થાય તેના માટે અદાણીએ એવું કારણ રજૂ કર્યુ છે કે, જીએમડીસી સાથે ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ ન થયા હોવાને કારણે અદાણી પાવર વીજ ઉત્પાદન કરી શકે એમ નથી. અગાઉ અદાણીએ બિડ ભર્યુ ત્યારે આયાતી કોલસો લાવવાની સ્પષ્ટ શરત દર્શાવવામાં આવી હતી. હવે જીયુવીએનએલને વીજળી આપવા માટે દસ કંપનીઓ રેસમાં છે. આ દસ કંપનીઓ ૪૬૦૦ મેગાવોટ વીજળી પૂરી પાડી શકે એમ છે. હવે આ ફાયનાન્શિયલ બિડ ૧૨ માર્ચના રોજ ખૂલવાની સંભાવના છે. ત્યારબાદ જે કંપનીએ ઓછા રેટ ઓફર કર્યાં હશે તેની સાથે ખરીદી કરારની પ્રક્રિયા હાથ ધરાશે.