ગાંધીનગર, તા. ૧૦
ટુકડા ધારા હેઠળ વારસાઇ જમીનોમાં ઊભા થતાં વિખવાદો અને વિવાદોને દૂર કરવા તેમજ જે ખાતેદારો પોતાનો વારસાઇ હક્ક જતો કરે તો પણ તેને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવા સહિતના અનેક મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે તેમ કહીને મહેસૂલમંત્રી આનંદીબેન પટેલે આજે વિધાનસભામાં એવી જાહેરાત કરી હતી કે, ટુકડાની જમીનની નજીકમાં આવેલા લાગોને કોઇ જમીન માલિક ખરીદી શકતો નથી. તેમાં હવે છુટછાટ આપીને આવી જમીન પણ ખાતેદાર ખેડૂત ખરીદી શકશે એવી કાયદાકીય છુટછાટ માટે એક વિધેયક ટૂંક સમયમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવનાર છે. આ જ રીતે ટુકડા ધારાના ભંગ બદલ દંડની રકમમાં વધારો કરવાની સક્રિય વિચારણા સરકાર કરી રહી હોવાનો નિર્દેેશ તેમણે આપ્યો હતો.
૪૫ વર્ષથી ટુકડા ધારા હેઠળ પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટેનો પ્રશ્ન અટવાતો હતો, તેના માટે રાજ્ય સરકારે ૨૦૦૫માં કમિટીની રચના કરી હતી અને આ કમિટીએ ૨૦૦૬માં આપેલા અહેવાલની નવ ભલામણોમાંથી પાંચનો અમલ કરી દેવાયો છે અને બાકીની ચાર ભલામણો માટે અમલની કાર્યવાહી ચાલી રહી છે તેમ તેમણે ધારાસભ્ય લીલાધર વાઘેલાના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.
તેમણે વિગતો આપી કે ટુકડાનું પ્રવર્તમાન અમલી પ્રમાણ ક્ષેત્રફળ ઘટાડવું કે રદ કરવું સલાહભર્યું નથી, એમ સમિતિએ કહ્યું છે. જરાયત જમીન માટે બે એકર, બાગાયત જમીન માટે ૨૦ ગૂંઠા અને ક્યારી માટે ૨૦ ગૂંઠા પ્રમાણપભૂત ક્ષેત્રફળ છે. આ ક્ષેત્રફળ દરેક જગાએ એક સરખું નથી. ટુકડાનો જમીન માલિક કૌટુંબિક વહેંચણીથી ખાતેદાર પોતાનો હક્ક જતો કરે ત્યારે મર્યાદિત સમયમાં જમીન ખરીદ કરવાની જોવાઇ કરવાની ભાલમણ હતી, આ ભલામણના અનુસંધાને રાજ્ય સરકારે તા.૧ જુલાઇ ૨૦૦૯ના રોજ ઠરાવ કરીને જે ખાતેદારે પોતાના હક્ક જતો કર્યો હશે તે કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ત્રણ વર્ષની સમય મર્યાદામાં રાજયમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદી શકશે એવો નિર્ણય લેવાયો છે.
- ટુકડા ધારાના ભંગ બદલ શહેરી વિસ્તારમાં રૃ.૫૦૦૦ અને અન્ય વિસ્તારોમાં રૃ.૨,૦૦૦ અથવા બજાર કિંમતના ૧૦ ટકા બેમાંથી વધારે હોય એટલો દંડ વસૂલ કરવામાં આવશે
સમિતિની ભલામણોમાં બ્લોક વિભાજનનો મુદ્દો પણ આવે છે. બ્લોક વિભાજન માટે કલેક્ટરની પૂર્વ પરવાનગી મેળવ્યા પછી જ જમીન વેચાણ થઇ શકે છે. તેને કારણે પરવાનગી ન લીધી હોય તેવા કેસોમાં કાયદાના ભંગ બદલ પગલાં લેવામાં આવે છે. સમિતિએ કલમ ૩૧(બી)ની જોગવાઇ રદ કરવાની ભલામણ કરી છે. કાયદાની કલમ ૩૧(બી) રદ કરવાની કાર્યવાહી ગતિમાં છે. આ જ રીતે ટુકડા ધારાના ભંગ બદલ રૃ.૨૫૦ નો નજીવો દંડ કરવામાં આવે છે. આ રકમ નજીવી હોઇ તેમાં સુધારો કરવાની ભલામણ હતી, આ અંગે મહેસૂલમંત્રીએ કહ્યું કે, આ બાબતે કાયદામાં સુધારો કરી શહેરી વિસ્તાર માટે રૃ.૫૦૦૦ અથવા બજાર કિંમતના ૧૦ ટકા તથા અન્ય વિસ્તારો માટે રૃ.૨૦૦૦ અથવા બજાર કિંમતના ૧૦ ટકા, બેમાંથી જે વધુ હોય તેટલો દંડ કરવા માટે કાયદો સુધારવાની બાબત હાલ સરકારની વિચારણામાં છે.
યોજના મુજબ પ્રમોલગેશન થયેલી હોય, પરંતુ સ્થળ પરના કબજા બદલાયેલા ન હોય ત્યાં સુધારા યોજના અમલમાં લાવીને યોજના ચાલુ રાખવી એવી ભલામણ સંદર્ભમાં મંત્રીએ કહ્યું કે, ૩૩ ગામોમાં આ યોજનાનો વિરોધ થતાં પ્રમોલગેશન નથી થયું. જ્યાં યોજનાનો વહીવટી રીતે અમલ કરાવી શકાય તેમ નથી તેવા ગામોમાં નવેસરથી યોજના તૈયાર કરવા પંચાયતનો ઠરાવ મેળવીને કાર્યવાહી કરવાની ભલામણ છે. સખ્તાઇથી પગલાં નહીં લેવા અને પંચાયત દ્વારા ખાતેદારની ખાતરી મેળવી ખેડૂત ખાતેદારો સહકાર આપે તેવા ગામોમાં યોજનાની કામગીરી ચાલુ રાખવાની ભલામણ છે. આ બાબતે મહેસૂલ વિભાગે તા.૨૮ ઓગષ્ટ ૨૦૦૯ના રોજ આદેશ બહાર પાડયો છે.
રખિયાલના સભ્ય વલ્લભ કાકડીયાના પૂરક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, જ્યાં પ્રિલિમિનરી ટીપી અથવા ફાઇનલ ટીપી જાહેર થયેલી હોય તેવા વિસ્તારોમાં ટુકડાધારો અમલમાં રહેશે નહીં એવો સુધારો કરી દેવાયો છે.