રાજકોટ તા.૧૦ :
રાજકોટ તથા આસપાસનાં ગામોમાં ભોળા, અશિક્ષિત ખેડૂતોને ભોળવી જમીનના સોદા પેટે સુથી (ટોકન)માં નહીવત રકમ આપી કરોડો રૃપિયાની જમીન પડાવી લેતી ભુમાફીયા ગેંગ પૈકીની એક ટોળકી સામે આજે નવા થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાતા ક્રાઈમ બ્રાંચે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. નવા થોરાળા શેરી નં.૪માં રહેતા ભીખાભાઈ વસ્તાભાઈ આંબલીયા (ઉ.વ.૭૦) નામના ખેડૂત પટેલ વૃધ્ધે યુનિર્વિસટી રોડ પરની પરિમલ સોસાયટી-૧માં ‘મધુવન કૃપા’માં રહેતા પ્રભાત અરજણભાઈ બોરીચા, મવડી રોડના જશરાજનગર સોસાયટીમાં રહેતા જીતુ બાવાજી, જંગલેશ્વરના આમદ સંધી, પોપટપરા-૧૩ ‘નાગબાઈ કૃપા’માં રહેતાં હરેશ દાદુભાઈ મિયાત્રા સામે છેતરપિંડી, વિશ્વાસઘાત, બોગસ દસ્તાવેજો બનાવવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
કૌભાંડની પોલીસ સૂત્રોમાથી મળેલી વિસ્તૃત વિગતો મૂજબ ખેડૂત ભીખાભાઈ પટેલે પોતાની માલીકીની નવા થોરાળા રેવન્યુ સર્વે નં.૧૦ પૈકી ૧ની નવાણીયુ ખેતર નામની ખેતીની જમીન વેચવા કાઢી હતી અને ભૂ માફીયાગેંગ સમગ્ર કૌભાંડ પાર પાડયું હતું.
જસરાજનગરનો બાવાજી શખ્સ જીતુ દલાલની ભુમિકામાં પટેલ વૃધ્ધ ભીખાભાઈને મળ્યો હતો અને તેણે બે પાર્ટીને જમીન બતાવી હતી. બાદમાં જંગલેશ્વરના આમદ સંધીને જમીન ખરીદનાર પાર્ટી તરીકે લઈ ગયો હતો. બાવાજી શખ્સે આમદની કાલાવાડના વતની હિંમતભાઈ પટેલ તરીકે ઓળખ કરાવી હતી. જમીન જોયાના બેક દિવસ બાદ ખેડૂત ભીખાભાઈને ફોન કરી ૮૦ ફૂટ રોડ ચોકડી પર બોલાવાયા હતા. જયાં ખેડૂત સાથે હિંમત પટેલ નામધારી આમદે એકર દીઠ ૪૭.૯૯ લાખ લેખે ૧૩ એકર ૧૯ ગુંઠા જમીનને રૃપિયા ૬, ૪૬, ૬૬, પરપ (છ કરોડ, તેતાલીસ લાખ, છાસઠ હજાર પાંચસો, પચ્ચીસ) સોદો નક્કી કર્યો હતો અને ખેડૂતને સુથી પેટે પ૦ હજાર રૃપિયા આપ્યા હતા કૌભાંડકારી ગેંગે તા.૭-૧રના રોજ સોદો કર્યા બાદ બીજા દિવસે અન્ય નાણાં લઈ જવાનું કહી ફોન કરી ભીખાભાઈ તથા તેના પુત્રોને અમારી હેમુ ગઢવી હોલ પાસે આવેલી ઓફિસે આવીને અવેજની રકમ લઈ જાવ કહી, ખેડૂતને ત્યાં બોલાયા હતા. વિરાણી ચોક નજીક કાળી કાર લઈને ઉભેલા બાવાજી શખ્સ જીતુ તથા હિંમત નામધારી આમદ ઠંડા પીણા પાયા બાદ ચાલો ઓફિસે જઈએ કહીં ખેડૂત પિતા, પુત્રોને કારમાં સબરજીસ્ટ્રાર ઓફિસ પર લઈ ગયા હતા. ઓફિસના બદલે સબ રજી. કચેરીએ લઈ જવાતાં ખેડૂત પિતા-પુત્રો અહીં તો દસ્તાવેજની ઓફિસ છે, તમારી ઓફિસ કયાં છે ? કહી વિરોધ કર્યો પરંતુ જીતુ તથા આમદે અહીં જ પહેલાં સુથી પેટે આપેલી રકમ, સોદાનું સાટાખત કરી લઈએ બાદમાં સાંજના બીજા નાણાં આપી દઈ તેવો વિશ્વાસ કેળવી કૌભાંડમાં પહેલેથી જ થયેલી ગોઠવણ મુજબ હાજર એડવોકેટે રજી. કચેરી રૃમમાં જઈ ખેડૂત વૃધ્ધ પાસે સાટાખત ઉપરાંત અન્ય તૈયાર કરેલા બોગસ કુલમુખત્યારનામા પર સહીઓ કરાવી લીધી હતી. ખેડૂતે સાટાખતની નકલ માંગતા કૌભાંડીયાઓએ બહાર નીકળી નાણાં અને નકલ બંને આપી દઈએ કહી ખેડૂત તથા તેના પુત્રોને સમજાવ્યા હતા. થોડીવારમાં દલાલ જીતુ તથા તેની સાથે રહેલો સાગ્રીત સરકી ગયા હતા. વિશ્વાસમાં કૌભાંડ થઈ ગયાની ખેડૂત ભીખાભાઈ તથા તેના પુત્રોને શંકા જતા તેઓ સબરજીસ્ટ્રા કચેરીમાં અધિકારીને મળ્યા હતા.કચેરીના અધિકારીએ પણ જરૃરી દસ્તાવેજો જોઈ એવું જણાવ્યું હતુ કે, તમોએ સાટાખત ઉપરાંત પ્રભાત અરજણભાઈ બોરીચા જોગ કુલમુખત્યારનામંુ પણ કરી આપ્યું છે. અધિકારીની વાત સાંભળી ખેડૂત પિતા, પુત્રના શ્વાસ ઉડી ગયા હતા.
રજી. કચેરી પર રહેલાં ભૂમાફિયા ગેંગના વકીલે થોડીવાર બાદ ખેડૂત ભીખાભાઈને તમો ગાયત્રીનગર મેઈન રોડ પર નોટરી જોષીની ઓફિસે પહોંચો ત્યાં પાર્ટી રાહ જુએ છે. નાણાં આપી દેશે કહેતાં છેતરાઈ ગયાનો ખ્યાલ હોવા છતાં ખેડૂત પિતા-પુત્રો ગાયત્રીનગરમાં પહોંચ્યા હતા. જયાં દલાલ જીતુ બાવાજી અને અન્યો હાજર હતા. જીતુએ ખેડૂતને એવો જવાબ આપ્યો કે, થોડીવાર બેસો પાર્ટી કાલાવડ રોડ પર અન્ય એક પ્લોટ જોવા ગઈ છે.આવીને નાણાં આપે છે. ખેડૂત પિતા, પુત્ર, પાર્ટીની રાહમાં જીતુ સાથે બેઠા હતા. થોડીવારમાં જીતુએ મોબાઈલ ફોન રણકતાં આવુ છુ, આવું છુ, વાત કરી ખેડૂત ભીખાભાઈને એવું જણાવ્યું કે, મારા ઘરેથી ફોન છે. બાબો બીમાર પડી ગયો છે. દવાખાને લઈ જવો પડશે કહી નીકળી ગયો હતો. રાહમાં બેઠેલાં પર રાત્રીના નવેક વાગ્યે હિંમત પટેલનો ફોન આવ્યો કે, હું કામમાં રોકાઈ ગયો, માટે નથી આવી શકયો, ચિંતા ન કરતાં કાલે બપોરે ચાર વાગ્યે તમોને નાણાં મળી જશે.
વિશ્વાસમાં આવી ફસાઈ ગયેલા ખેડૂત બીજા દિવસે તા.૯-૧ર-૦૯ના રોજ વકીલની સલાહ મુજબ કૌભાંડ કરનાર ભુમાફીયા ગેંગ સામે વિશ્વાસઘાત કરી બોગસ કુલમુખત્યારનામુ કરાવી લીધાની અને આ કુલ મુખત્યારનામુ રદ બાતલ ગણવા અખબારમાં જાહેર નોટિસ પ્રસિધ્ધ થતાં જ તે જ દિવસે બપોર બાદ કુલમુખત્યાર પ્રભાત બોરીચા, પોપટપરાના હરેશ દાદુભાઈ મિયાત્રા જોગ દસ્તાવેજ કરી આપ્યો હતો.
વકીલની સલાહ મુજબ જાહેર નોટિસ સવાર બીજા દિવસે ભોગ બનનાર ખેડૂત ભીખાભાઈએ પોલીસ કમિશ્નરને અરજી આપી હતી. જમીન કૌભાંડની અરજીની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. અરજીના આધારે હાથ ધરાયેલી તપાસમાં કૌભાંડ આચરાયાનું બહાર આવતા આજે અઢી માસ બાદ જમીન કૌભાંડ કરનાર પ્રભાત, જીતુ, આમદ, હરેશ સામે ગુનો નોંધાયો છે.ક્રાઈમ બ્રાંચના પી.આઈ. ડી.એમ.વાઘેલા, ભીખુભા જાડેજા, બી.બી.જાડેજા તથા ટીમે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.