નવી દિલ્હી : તા. 11, માર્ચ
લોકસભામાં ભાજપના સાંસદોના એક વર્ગ દ્વારા વિરોધ અને વિધેયકના વિરૂદ્ધમાં મતદાન કરવાની ધમકીના પગલે મહિલા અનામત વિધેયક પસાર કરવાને લઈને સમસ્યા વધુને વધુ જટિલ બનતી જણાઈ રહી છે. આ સાથે ભાજપમાં પણ ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યાં છે. આ વિરોધ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે જાહેરાત કરી હતી કે ભાજપ લોકસભામાં પણ મહિલા અનામત બિલનું સમર્થન કરશે તથા પક્ષ આ બિલના સમર્થનમાં વ્હિપ જાહેર કરશે.
ભાજપમાં આંતરીક જુવાળની સ્થિતિ પારખીને વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા અરૂણ જેટલી અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ સહિતના પાર્ટીના ટોચના નેતાઓએ પાર્ટીના અસંતુષ્ઠ સાંસદો સાથે મુલાકાત કરીને તેમની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વરાજે જણાવ્યું હતું કે મહિલા અનામત વિધેયલ લોકસભામાં આવતા જ તેઓ પાર્ટીના સાંસદોને વ્હિપ કરશે. વ્હિપનું ઉલ્લંઘન કરનારા સાંસદોને અયોગ્ય ઠેરવવામાં આવશે. અગાઉ રાજ્યસભામાં ભાજપના સાંસદોએ આ વિધેયકના સમર્થનમાં મતદાન કર્યું હતું.
મહિલા અનામત બિલનો વિરોધ કરી રહેલા કેટલાક સાંસદોતો ત્યાં સુધી કહી ચુક્યા છે કે જો નિચલા સદનમાં વિધેયક રજુ કરવામાં આવશે તો તેના વિરૂદ્ધ મતદાન કરવામાં આવશે. લોકસભામાં ભાજપના 116 સાંસદો અને આ સંવિધાન સંસોધન વિધેયકને પસાર કરવા માટે ભાજપનું સમર્થન ખુબ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ યોગી આદિત્યનાથ, સચેતક રમેશ બૈસ તથા હુકુમદેવ નારાયણ યાદવે મહિલા અનામત ખરડાનો વિરોધ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના કેટલાક સાંસદ ખરડાની વિરોધમાં વોટ આપવા માંગે છે. હુકુમદેવ નારાયણ યાદવની આ મામલે પક્ષના નેતા અનંત કુમાર સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી.
જો કે લોકસભામાં મહિલા અનામત ખરડો એપ્રિલ મહિનામાં રજૂ થવાની શક્યતા છે કારણ કે સંસદમાં 15 માર્ચ બાદ એક મહિને એટલે કે 12 એપ્રિલથી ફરી કાર્યવાહી શરૂ થશે.