નવી દિલ્હી : તા. 11, માર્ચ
સરકાર મહિલા અનામત ખરડાના વિરોધીઓ સાથે ફરી એક વખત વાતચીત કરવા તૈયાર છે. સંસદના બંને સદનોમાં ગુરૂવારે આ મામલે ભારે હંગામા બાદ નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે "સરકાર બિલ પર વાતચીત માટે તૈયાર છે. રાજ્યસભામાં ખરડો પસાર થઈ જવાનો મતલબ એ નથી કે તેને સંપૂર્ણ મંજૂરી મળી ગઈ છે. સરકાર સર્વ પક્ષીય બેઠક બોલાવવા પણ તૈયાર છે." તો બીજી તરફ લાલુ યાદવ, મુલાયમ સિંહ તથા શરદ પવારે આ ખરડાને ગરીબ અને પછાતા જાતિ વિરૂદ્ધ ગણાવ્યો અને તેમાં ફેરફારની માંગણી કરી હતી.
મુલાયમ સિંહએ કહ્યું હતું કે "જો ખરડામાં પછાત અને મુસ્લિમ મહિલાઓ માટે અલગ જોગવાઈ કરવામાં આવે તો તેઓ ખરડાનું સમર્થન કરશે." જ્યારે લાલુ યાદવે કહ્યું હતું કે "મહિલા અનામત અમલમાં આવશે તો સદનમાં બેઠેલા પુરૂષ નેતાઓનો સત્યાનાશ થઈ જશે."
આ તમામ ટીકાઓ સાંભળ્યા બાદ પ્રણવ મુખર્જીએ લોકસભામાં ઉમેર્યું હતું કે "બધા મતભેદો ઉકેલાયા બાદ તથા સામાન્ય સહેમતિ બન્યા બાદ જ સરકાર મહિલા અનામત ખરડાને લોકસભામાં રજૂ કરશે."
તેમણે કહ્યું હતું કે "સરકારે પહેલા પણ ખરડા માટે સામાન્ય સહેમતિ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું. સરકારને આ મુદ્દે સર્વ પક્ષીય બેઠક બોલાવવામાં કોઈ વાંધો નથી અને આ બાબતે વડા પ્રધાન પણ નેતાઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે."