લખનૌ, તા. ૧૩
મહિલા અનામતના વિરોધમાં રાજકીય પક્ષોની સાથે હવે પ્રભાવશાળી મુસ્લિમ અભ્યાસુઓ અને મૌલાનાઓ પણ જોડાવા લાગ્યા છે. મુસ્લિમ મૌલાનાઓ અને અભ્યાસુઓને ભય છે કે મહિલા અનામતથી મહિલાઓને રાજકારણમાં બેઠકનો અધિકાર મળવાની સાથે સાથે વધુ ને વધુ મુસ્લિમ મહિલાઓને રાજકારણમાં પ્રવેશવાનું પ્રોત્સાહન પણ મળશે. અને રાજકારણમાં પ્રવેશનાર મહિલાઓ શરિયાના નિયમોનું પાલન કરી શકશે નહીં.
લખનૌની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નદવતુલ ઉલેમા મદ્રેસાના પ્રિન્સિપાલ મૌલાના સઈદુર રહેમાને જણાવ્યું હતું કે કોઈપણ લોકશાહી દેશમાં કોઈ મુસ્લિમ મહિલા ચૂંટણી લડે એ બિન-ઈસ્લામિક છે.
ઈસ્લામી ર્ધાિમક શાસન ધરાવતા દેશોમાં જ મહિલાઓ ચૂંટણી લડી શકે, કારણ કે ત્યાં તેમણે ફરજિયાત રીતે પડદામાં જ રહેવું પડે છે. જ્યારે લોકશાહી દેશમાં આવો કોઈ ફરજિયાત નિયમ ન હોવાથી મુસ્લિમ મહિલાઓ માટે ચૂંટણી લડવી બિન-ઈસ્લામિક બને છે. સંસદમાં તેઓ પડદા વિના પુરુષોના નિકટના સાંન્નિધ્યમાં આવતી રહે છે. જો મહિલાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા હોય અને બુરખાની જોગવાઈ હોય તો તેઓ સંસદમાં બેસી શકે.
લખનૌના સૌથી જૂના મદ્રેસા ફિરંગી મહલના આગેવાન અને શહેરના નાયબ ઈમામ મૌલાના ખાલિદ રશીદ ચૂંટણી બિન-ઈસ્લામિક હોવાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ ચૂંટણી લડે અને રાજકારણમાં સક્રિય બને તેમાં કશું ખોટું નથી. અત્યાર સુધીમાં સંખ્યાબંધ મુસ્લિમ મહિલાઓએ રાજકારણમાં ખૂબ સારુંં કામ કર્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મહિલા અનામતનો વિરોધ એટલા માટે કરે છે કે તેના કારણે લોકશાહી સમાજની મૂળભૂત જોગવાઈઓનો ભંગ થઈ જાય છે. અનામતમાં અનામત કરવી એ ભારતીય બંધારણના આત્મા વિરુદ્ધનું કામ બનશે.
જાણીતા શિયા મૌલાના કલ્બે જવ્વાદ કહે છે કે નદવાના પ્રિન્સિપાલની વાત ખરી છે. તેમને જ્યારે પૂછયું કે ઈરાન જેવો ઈસ્લામી દેશ મહિલાઓને વિવિધ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની છૂટ શી રીતે આપે છે ? તો તેમણે કહ્યું કે ઈરાનમાં ચૂંટણી જીતીને સંસદમાં પહોંચેલ મહિલા સભ્યો છે ખરા, પરંતુ તેઓ પડદા પદ્ધતિનું ચુસ્ત રીતે પાલન કરે છે.