નવી દિલ્હી,તા. ૧૩
ભારતના વિદેશી બાબતોના રાજ્યપ્રધાન શશી થરૃરે આજે કહ્યું હતું કે ત્રાસવાદીઓ હજુ પણ પાકિસ્તાનમાં આશ્રય લઇ રહ્યા છે. પાકિસ્તાનમાં હજુ પણ અકબંધ રહેલા ત્રાસવાદી માળખાને નષ્ટ કરવા ભારતે વારંવાર પાકિસ્તાનને અપીલ કરી છે. આ ઉપરાંત મુંબઇમાં કરવામાં આવેલા હુમલામાં સામેલ રહેલા શખ્સોને સજા કરવા પણ ભારતે કહ્યું છે. ત્રાસવાદના ડાર્ક ફોર્સ શાંતિ આડે અડચણરૃપ છે.
થરૃરે કહ્યું હતું કે તાજેતરમાં હાથ ધરવામાં આવેલી વિદેશ સચિવ સ્તરની મંત્રણા તમામ પાસાંઓને ધ્યાનામાં લઇને હાથ ધરવામાં આવી હતી. આ મંત્રણાના લીધે ત્રાસવાદ સાથે સંબધિત સમસ્યાને ઉકેલવામાં મદદ મળશે. સાથે સાથે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવામાં પણ મંત્રણા સહાયરૃપ થશે. થરૃરે ઉમેર્યું હતું કે પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સંબંધો માટે અમે વારંવાર પહેલ કરી છે. જટિલ સમસ્યાઓને ઉકેલવા માટે પણ ભારત પ્રયાસ કરી રહ્યું છે. ત્રાસવાદ સાથે સંકળાયેલા તત્ત્વો શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો આડે સતત અડચણો ઊભી કરી રહ્યા છે. થરૃરે કબૂલાત કરી હતી કે જેહાદ અને ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે હાકલ વારંવાર કરવામાં આવી રહી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે વધુમાં કહ્યું હતું કે ત્રાસવાદી પ્રવૃત્તિઓના કારણે પાકિસ્તાનની પોતાની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થયો છે.
દરમિયાન ચંદીગઢમાં વિદેશ રાજ્યપ્રધાન પ્રનીત કૌરે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે અમે વાતચીતને આગળ વધારવા ઇચ્છીએ છીએ. સ્થિતિમાં સુધાર થાય તેની ખાતરી કરવા બનતા તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. સરહદ પારથી ત્રાસવાદી હુમલા ચાલુ રહેશે તો પણ વાતચીત જારી રાખવામાં આવશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે લઘુતમ સ્તરે ભારતે વાતચીત શરૃ કરી છે. પરંતુ ત્રાસવાદ મામલે ભારત મક્કમ છે.