માંડલ, તા. ૧૪
માંડલ તાલુકાના ઉઘરોજ ગામે દર વર્ષે ફાગણ વદ-૧૩ના દિવસે ગામમાં શક્તિ માતાજીનો મહોત્સવ ઉજવાય છે. શક્તિ માતાજીની માંડવી નીકળે છે. દૂર દૂરથી દેશાવરથી લોકો ઉઘરોજ આવીને માતાજીના આ ભવ્ય ઉત્સવનો લાભ લે છે અને માતાજીના આ ઉત્સવમાં જોડાઈને દર્શનનો લાભ લઈ ધન્ય બને છે. આ દિવસે પુષ્કળ લોકો અહીં દર્શનાર્થે આવતા હોવાથી લોકમેળો પણ ભરાય છે. માતાજીનો રથ બળદગાડાને ત્રાંસાની થાળીઓથી સુશોભન કરી શણગારીને નીકળે છે. માતાજીનો રથ ઉઘરોજ રામજી મંદિરથી ઢાળમાં પસાર થતો હતો ત્યારે આ બળદગાડા ઉપર બનાવેલ રથના પૈડા નીચે ઉઘરોજ ગામના જ મેરૃજી સવધાનજી ઠાકોર (ઉં.વ. ૪૫) આવી જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી જેથી મેરૃજીનેતાત્કાલિક કડી સારવાર અર્થે લઈ જવાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન રાત્રે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.