ગાંધીનગર, સોમવાર
બોર્ડની ધોરણ-૧૦ પરીક્ષા આવતીકાલે દ્વિતિય ભાષા ગુજરાતીના પેપર સાથે પૂર્ણ થશે. પરીક્ષા પૂર્ણ થતાં જ વાલીઓમાં રાહત અને વિદ્યાર્થીઓમાં વેકેશનનો મૂડ ચહેરા ઉપર જોવા મળે છે. જોકે પોતાનું સતાન ઉંચી ટકાવાર લાવશે એવી આશા રાખનાર વાલીમાં અંદરખાને ચિંતા ઘરબાયેલી બેઠી છે. પરીક્ષાના પેપરો શાળાની પ્રિલીમરી પરીક્ષા કરતા સરળ નિકળતા પરિણામ ઉંચું રહેવાની શક્યતા છે. જેથી ગત વર્ષની સરખામણીમાં ધોરણ-૧૧માં પ્રવેશ માટે શાળાઓમાં હાઉસફુલના પાટીયા લાગશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા. ૪થી માર્ચથ ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં ધોરણ-૧૦ની પરીક્ષા ઉપર આવતાકાલે (તા. ૧૬મી) દ્વિતિય ભાષા ગુજરાતી પેપર સાથે પૂર્ણ વિરામ મુકાશે. બોર્ડ પરીક્ષા પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાશકારો અનુભવ્યો હતો. આખા વર્ષ દરમિયાન બોર્ડ પરીક્ષાનો ભાર લઈને ફરતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં રાહત જોવા મળી હતી.
ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બોર્ડ પરીક્ષા પેપરો શાળાની પ્રિલીમરી પરીક્ષા કરતા સરળ નીકળતા પરીક્ષાર્થીઓમાં બોર્ડ પરીક્ષાનો હાઉ પલકવાર ગાયબ થઈ ગયો હતો. પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે સહેલા પેપરથી પરિણામ ઉંચું રહેવાની આશા છે જેને પરિણામે ધોરણ-૧૧માં પ્રવેશ માટે શાળાઓમાં હાઉસફુલના પાટીયા લાગેલા જોવા મળશે. જેને પગલે ઉત્તીર્ણ થયેલા પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવાની સમસ્યા કામ સમાન બની રહે એવી શક્યતા રહેલી છે.
આ ઉપરાંત સહેલા પેપરોને પરિણામે પરીક્ષાર્થીઓની અપેક્ષા કરતા વધારે ટકા આવશે. જોકે સમગ્ર રાજ્યમાં સરકારી, અર્ધસરકાર અને ખાનગી શાળાઓનો રાફડો ફાટયો છે. જેથી આવી શાળાઓમાં ધોરણ-૧૧ના વર્ગો ભરવા માટે પણ બોર્ડે સરળ પેપરો કાઢયા હોવાનું શિક્ષણ તજજ્ઞાો માની રહ્યા છે.
વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ કે ૧૨માં આવે એટલે પરિવારજનો અને સગાઓ દ્વારા બોર્ડ પરીક્ષાનો કાલ્પનિક ભય તેનામાં ઉભો થાય એવું વર્તન કરતા હોય છે. વારંવાર બોર્ડ હોવાની વાત યાદ કરીને વાંચવા બેસ, ફલાણાને આટલા ટકા આવ્યા હતા. તારે પણ આટલા ટકા લાવવાનું જણાવીને વિદ્યાર્થીના મનમાં માનસિક દબાણ ઉભું કરવામાં આવે છે. જેથી પરીક્ષા પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ સજા કાપીને છુટા થયા હોય એવી ખુસી અને હાશ ચહેરા ઉપર સ્પષ્ટ જોવા મળે છે.