જબલપુર : તા. 16
પોલીસ રિમાન્ડમાં પૂછપરછ દરમિયાન પ્રતિબંધિત સંગઠન સિમીનાં કોષાધ્યક્ષ મોહંમદ અલીએ ભારતીય સંવિધાન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સિમી સંગઠન ઈસ્લામ ધર્મ પર વિશ્વાસ રાખે છે અને સમગ્ર દુનિયાને ઈસ્લામ ધર્મ પ્રમાણે ચલાવવા ઈચ્છે છે તથા તેનાં માટે કોઈપણ કુર્બાની આપવા તૈયાર છે.
સિટી એસપી રાજેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ સિવાય મોહંમદ અલીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે મધ્ય પ્રદેશનાં આઠ જીલ્લામાં આ સંગઠન માટે ધન એકત્ર કરતો હતો. જ્યારે જબલપુરમાં કુર્બાની દરમિયાન નિકળેલા બકરાનાં ચામડા વેચીને પણ ધન એકઠુ કરવામાં આવતું હતુ.
તેણે જણાવ્યું હતું કે સિમી માટે સૌથી વધુ ધન સિવની અને ઈન્દોર જીલ્લામાંથી મળતુ હતું. પાકિસ્તાન સહિત અન્ય ઈસ્લામિક દેશો તરફ સિમીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ધન મળતું નથી. તેમજ દેશભરમાં થયેલા વિસ્ફોટો પાછળ સિમીનો કોઈ હાથ નથી.
તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સિમી સંગઠન ઈસ્લામ ધર્મ પર વિશ્વાસ રાખે છે અને સમગ્ર દુનિયાને ઈસ્લામ ધર્મ અનુસાર ચલાવવા ઈચ્છે છે તથા તેના માટે સિમી સાથે જોડાયેલા લોકો કોઈપણ કુર્બાની આપવા તૈયાર છે.
ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મોહંમદ અલીએ સ્થાનીક સિમી કાર્યકર્તાઓ વિશે માહિતી આપી છે પરંતુ પોલીસ તેમની પહેલેથી ધરપકડ કરી ચૂકી છે.
કોર્ટે પોલીસને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે મોહંમદ અલીને માનસિક અને શારિરીક રીતે ટોર્ચર ન કરવામાં આવે તથા રિમાન્ડ શરૂ થયા પહેલા અને બાદમાં તેની ડૉક્ટરી તપાસ કરવામાં આવશે.