ગોલપારા, તા.૩૦
આસામના ગોલપારા જિલ્લામાં ભાલુકબુડીમાં બંડખોરો દ્વારા કરવામાં આવેલા આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફના પાંચ જવાનોના મોત થયા હતા અને અન્ય ૪૪ ઘાયલ થયા હતા. જે પૈકી ૧૫ની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ સપ્તાહમાં આસામમાં સુરક્ષા દળો ઉપર બીજો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે.
જિલ્લા સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ લોઈતે જણાવ્યં હતું કે સીઆરપીએફની ૧૨મી બટાલિયનની ઇ કંપનીના જવાનોને લઈને આવતી સ્ટાફ બસ બ્લાસ્ટનો શિકાર થઈ હતી. સવારે આઠ વાગ્યાની આસપાસ વન્ય વિસ્તારમાં આવેલા તેમના અગિયા બાલીજાના કેમ્પમાંથી બસ પરત આવી રહી હતી ત્યારે માર્ગ ઉપર ગોઠવવામાં આવેલા આઈઈડી બ્લાસ્ટને કારણે સીઆરપીએફના ૫ જવાનોના મોત થયાં હતાં.
માર્યા ગયેલા સીઆરપીએફના જવાનોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં કોન્સ્ટેબલ પૂનમ સેન, એન બી સલોન, લાન્સ નાયક પીએન રાવ અને કોન્સ્ટેબલ રણબીરસિંહનો સમાવેશ થાય છે. ભોગ બનેલા પાંચમાં જવાનની ઓળખ મંગલ નાયક તરીકે થઈ હતી. તેમનું ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતુ. ૧૫ની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ગોલપારાની સિવિલ હોસ્પિટલમાં તમામને સારવાર આપવામાં આવી રહી છે. આ જવાનને આર્મી ટ્રેનિંગમાંથી હાજરી આપ્યા બાદ પરત ફરી રહ્યા હતા. નક્સલી ઓપરેશન માટે સંબંધિત વિસ્તારમાં તૈનાત કરવા આ જવાનોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. ઇજાના કારણે તમામ જવાનોના મોત થયાં હતાં. સીઆરપીએફના સૂત્રોએ કહ્યં છે કે બસના ડ્રાઈવરે સાહસ દર્શાવીને બસને સીધી રીતે નજીકની હોસ્પિટલમાં લઇ ગયો હતો.