મુંબઇ, તા.૩૦
મુંબઇમાં ફરી એક વાર મોટા પાયે ગેંગવોર ભડકી ઊઠે તેવી શક્યતા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કરાચી સ્થિત ડોન છોટા શકીલે તેના નજીકના હરીફ અને છોટા રાજનના નજીકના સાગરીત વિક્કી મલહોત્રાને શોધી કાઢવા અને તેના શાર્પ શૂટરોને સૂચના આપી દીધી છે. વિક્કી મલહોત્રાને મોતને ઘાટ ઉતારી દેવા સૂચના અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરના ઈન્ટેલિજન્સ અહેવાલમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે. આ માહિતી આવ્યા બાદ મુંબઈ શહેરમાં ગેંગવોર ભડકી ઊઠવાની શક્યતા પ્રબળ બનતા પોલીસને સાવધાન રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.
મુંબઈ શહેરમાં તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાંચ અને એટીએસને આ માહિતી પહોંચાડી દેવામાં આવી છે. વર્ષ ૨૦૦૫માં નવી દિલ્હીમાં પંચશીલ નજીક ઝડપાઈ ગયેલા મલહોત્રાને ત્યાર બાદ મુંબઈ લાવવામાં આવ્યો હતો. મુંબઈમાં તે જામીન ઉપર છુટી ગયા બાદ દેખાયો નથી.