ગાંધીનગર, પાલિતાણા તા. ૩૦
શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પૂછપરછ પણ કરી શકે છે તેવા મતલબના સંકેતો મળી રહ્યા છે. તેના સંદર્ભમાં આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, ‘‘જો તેઓ એમ માનતા હોય કે નરેન્દ્ર મોદીને આવી રીતે ડરાવી દઇશું તો તેઓ કાન ખોલીને સાંભળી લે ‘મોદી સત્ય સામે સો વાર ઝૂકશે પણ જુઠ સામેનો જંગ તો લડીને જ રહેશે’.
ભાવનગરના સુપ્રસિદ્ધ પાલીતાણા નગર ખાતે પાવક વન નિર્માણ સાથે ગુજરાતના ૬૧મા વન મહોત્સવના પ્રારંભ પ્રસંગે મોદીએ દ્રઢતાપૂર્વક જાહેર કર્યુ ંહતું કે, ગુજરાતની ધરતી ઉપર રાષ્ટ્રપ્રેમી અને રાષ્ટ્રદ્રોહી તત્ત્વોેની લડાઇના મંડાણ થઇ ગયા છે. પરંતુ આ રણભૂમિ ગુજરાત છે જે રાષ્ટ્રદ્રોહી શક્તિઓને પરાસ્ત કરીને જ ઝંપશે. ‘હું દિલ્હીની કેન્દ્રીય સલ્તનતને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, આ ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું વારસ છે અને ભારત માતાને ગુલામીમાંથી મુક્ત કરવાનું પ્રેરક નેતૃત્વ ગુજરાતે પૂરુંં પાડયું હતું. ફરી એકવાર ગુજરાતની રણભૂમિ ઉપર એકબાજુ રાષ્ટ્રવાદી શક્તિઓ અને બીજી બાજુ રાષ્ટ્રઘાતી તત્ત્વોેની વચ્ચે સાચા જુઠાના યુદ્ધના મંડાણ થઇ ગયા છે અને મને ખાતરી છે કે ગુજરાત વિજયી બનીને જ રહેશે ‘ તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, આ દેશ ક્યારેય આતંકવાદીઓની પડખે ઊભા રહેનારા, દાનવ અધિકારો માટે લડનારા કે રાષ્ટ્રવિરોધી, મવાલી તત્ત્વોેને સાથ આપતો નથી અને ગુજરાતે તો સુરક્ષા અને શાંતિનો સામાન્ય માનવીને આઠ વર્ષથી અહેસાસ કરાવ્યો છે. જેમને ગુજરાતની સુખચેન, શાંતિ અને સુરક્ષાની વિકાસયાત્રા આંખમાં કણાની જેમ ખૂંચે છે તેઓ ગુજરાતમાં પલિતો ચાંપવાના પેંતરા રચી રહ્યા છે. ગુજરાતની શાંતિ, ગુજરાતના વિકાસને રોકવાના અને ગુજરાતને તબાહ કરવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ ગુજરાતની જનતાનો મિજાજ એ સાંખી લેશે નહીં.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમનું એકમાત્ર સપનું ગુજરાતની જનતાની સેવા કરવાનું, ગુજરાતનો વિકાસ કરવાનું છે અને તેના માટે હું અવિરત કાર્યરત રહું છું. પરંતુ કોઇ એમ માનતું હોય કે આ નરેન્દ્ર મોદીને ડરાવીશું તો તેમને મારુંં આહ્વાન છે કે આ મોદી સત્યની સામે સો વાર ઝૂકવા તૈયાર છે, પરંતુ જુઠની સામે પૂરી તાકાતથી જંગ ખેલી લેશે.
રાજકીય આટાપાટાના વિકૃત ખેલની લડાઇમાં ગુજરાતને ઉની આંચ નહીં આવવા દેવાય. ગુજરાતની જનતા જનાર્દનના ભરોસે ગુજરાત સત્ય માટેની લડાઇ જીતીને જ રહેવાનું છે.
દિલ્હીની કેન્દ્ર સરકારને ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવાનું ખુલ્લું આહ્વાન આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતની સાથે વિકાસની સ્પર્ધા કરવાનો પડકાર કેન્દ્ર ઝીલી શકતું નથી એટલું જ નહીં ગુજરાત સુરક્ષા અને શાંતિથી સર્વાંગી વિકાસ કરવા પ્રતિબદ્ધ છે તો એમાં પણ આ તત્ત્વોેેને તેમના અસ્તિત્વ સામે જોખમ લાગે છે. ગુજરાત આગળ ન નીકળી જાય એવી દહેશતથી હવે ગુજરાતના વિકાસમાં રોડાં નાંખવા પેંતરાબાજી શરૃ કરી છે. તેમણે કહ્યું કે, આવા જ પેંતરાના ભાગરૃપે તાજેતરમાં ૧૬ જુલાઇએ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે રાજ્ય સરકાર પાઇપલાઇન માટેના ટેન્ડર બહાર ન પાડી શકે એવી નીતિ જાહેર કરીને ભાવનગર અને અમરેલી જિલ્લાની જનતાને પાઇપલાઇનથી ગેસ આપવાના વચન પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આ બન્નેે જિલ્લાની જનતાને આપેલું વચન પૂરુંં કરવા ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેશે તેવી તેમણે ખાતરી આપી હતી.