સુરત, તા. ૩૦
ઓલપાડના ૧૯ ગામના ખેડૂતોએ હજીરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (સર)ના કાયદા સામે ઉપાડેલા આંદોલન ઉપર હાલ અર્ધવિરામ મુકાયું છે. રાજ્ય સરકારે ખેડૂતોને હૈયાધરપત આપ્યા બાદ એક માસ પછી પણ કોઇ લેખિતમાં જવાબ નહીં આપતા ખેડૂતોની અકળામણ વધી રહી છે. આ મુદ્દે ફરી ખેડૂતોને એકજૂટ કરવા આગામી તા.૫મીએ એકશન કમિટીની બેઠક યોજવાનો નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકારે સર એક્ટના નામે હજીરા અને ઓલપાડના ૧૯ ગામોને સંપાદનમાં લેવાની તૈયારી કરતા ખેડૂતોએ સરકાર સામે એકજૂટ થઈ અવાજ ઉઠાવ્યે છે. ખેડૂતોના અવાજનો રાજ્ય સરકારમાં જબરદસ્ત પડઘો પડતા તેમણે આ દિશામાં ફેરવિચારણા કરવાની ખેડૂતોને ખાતરી આપી હતી. સરકારના સનદી અધિકારીઓ અને મંત્રીએ એક માસમાં લેખિત જવાબ આપવાનું મૌખિક વચન આપ્યું હતું. સ્થાનિક રાજકારણીઓ અને એકશન કમિટીના ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકારના આ જવાબ ઉપર ભરોસો કરી આંદોલનને આગળ વધતું અટકાવ્યું હતું.
સરકારે સર એક્ટ નાબૂદી અંગે ખેડૂતોને વિશ્વાસ આપી નિયત સમયમાં પોતાનું વચન પાળવામાં નિષ્ફળ જતાં ખેડૂતોમાં ફરી આ મુદ્દે ગણગણાટ શરૃ થયો છે. ગઈ તા. ૧૯મી જુલાઈના રોજ એકશન કમિટીએ આ મુદ્દે સરકાર સાથે પત્ર વ્યવહાર કર્યો હતો. આ પત્ર વ્યવહારનો દસ દિવસ પછી પણ કોઇ જવાબ નહીં મળતા એકશન કમિટીએ આ મુદ્દે ખેડૂતો સાથે બેસી ફરી ચર્ચા-વિચારણા કરવા એક સભાનું આયોજન કર્યું છે. આગામી તા.૫મી ઓગસ્ટે જહાંગીરપુરા પાલ કોટન મંડળી ખાતે એકશન કમિટી દ્વારા સભા બોલાવવાનો નિર્ણય લેવાયો છે. આ સભામાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેવું એકશન કમિટીના કન્વીનર જયેશ પટેલે જણાવ્યું છે.