સુરત, તા. ૩૦
શારીરિક રીતે લાચાર વ્યક્તિ પણ ન્યાય અપાવવામાં ઇન્સાફની દેવી સામે માનસિક રીતે વિકલાંગ બની બેસી રહેતો નથી. આ વાતની સાબિતી આજે વધુ એક વખત સુરત જિલ્લા ન્યાયાલયમાં જોવા મળી હતી. હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે જુબાની આપવા યુપીથી આવેલા લક્વાગ્રસ્ત ફરિયાદી વકીલોના વેધક પ્રશ્નોના સણસણતા જવાબ આપ્યા હતા. ચારેય આરોપીઓને ન્યાયર્મૂિત સમક્ષ ઓળખી બતાવ્યા હતા.
આ કેસ અંગેની હકીકત એવી છે કે, મૂળ ઇલાહાબાદ જિલ્લાના વતની અને ભટાર રોડ ઉપર આવેલા ખોડિયાર નગરમાં રહેતા રવિચંદ્ર શ્રીકરણપ્રસાદ યાદવે પોતાના મિત્ર શંકરસિંગ નંદકિશોરસિંગની હત્યા કરનારા ત્રણ આરોપીઓ સામે ફરિયાદ આપી હતી. ચાર વર્ષ અગાઉ સતીષ ઉર્ફે રાજુ ગુપ્તા, દિનેશ નારાયણ મહાજન અને પ્રમોદ અમરસિંહ મૌર્ય અને વિનોદ અમરસિંગ મૌર્યએ શંકરની હત્યા કરી હતી. શંકરને મારમારી મોતને ઘાટ ઉતાર્યા બાદ ફરિયાદીને પણ માર માર્યો હતો. મિત્રના હત્યારાઓને સજા કરાવવા રવિચંદ્રે પોલીસ ફરિયાદ કરી હતી.
દરમિયાન રવિચંદ્ર યાદવને પગમાં પેરાલિસિસ થતાં વતન જઈ હાલ સંપૂર્ણપણે પથારીવશ જિંદગી જીવી રહ્યો છે. શારીરિક કારણોસર સુરત કોર્ટમાં હાજર નહીં રહી શકતા તેમણે થોડા દિવસો અગાઉ આ કેસમાં વીડિયો કોન્ફરન્સથી જુબાની આપવા અરજી કરી હતી. આ અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ આજે કેસની તારીખ હોવાથી વ્હીલ ચેર ઉપર બેસી રવિચંદ્ર યાદવે સુરત આવી કોર્ટમાં મક્કતાથી આરોપીઓ સામે જુબાની આપી હતી. કોર્ટે લકવાગ્રસ્ત રવિચંદ્ર કોર્ટમાં હાજર રહેતા તેના આવવા જવાના ખર્ચ સહિત અન્ય ભથ્થું ચુકવવા આદેશ કર્યો હતો. લકવાગ્રસ્ત યાદવ વ્હીલચેર ઉપર બેસી કોર્ટમાં જુબાની આપવા આવી પહોંચ્યા બાદ દિવસભર કોર્ટ સંકુલમાં આ કેસની ચર્ચા થઈ હતી.