સુરત, તા. ૩૦
શહેરમાં મચ્છરજન્ય રોગો માથંુ ઊંચકી રહ્યા છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગે આજે મચ્છરના ઉપદ્રવને પગલે પાલનપુર પાટિયા સ્થિત પ્રભાતતારા સ્કૂલ બંધ કરાવી હતી. પ્રભાતતારા સ્કૂલમાં મચ્છરોનો ઉપદ્રવ ગંભીર જણાતા બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઇ સ્કૂલ તાકીદે બંધ કરાવી દેવાઇ હતી. સ્કૂલમાં સાફસફાઇ થયા બાદ રાંદેર ઝોન શાળા શરુ કરવા અંગે નિર્ણય લેશે. મચ્છરના બ્રિડિંગ મળતા અડાજણની સરસ્વતી વિદ્યાલયને દંડ ફટકારવામાં આવ્યો હતો.
ચોમાસાને કારણે શહેરના વિવિધ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. રાંદેર ઝોનમાં આજે જુદા જુદા વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાંદેર ઝોનની આરોગ્ય ટીમને પાલનપુર પાટિયા ખાતે આવેલી પ્રભાતતારા સ્કૂલના બેઝમેન્ટ અને ધાબા પર મચ્છરોની ઉત્પત્તિ જોવા મળી હતી. પંદર દિવસ પહેલાં પણ આ જ શાળામાં મચ્છરોનું પ્રમાણ જોવા મળતા નોટિસ આપવામાં આવી હતી. રાંદેર ઝોનની નોટિસ મુજબ તાકીદે સફાઇ કરી મચ્છરોના બ્રિડિંગનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી નહોતી જેને પગલે આજે ફરી આ સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મચ્છરોને કારણે બાળકોનાં આરોગ્ય સામે જોખમ લાગતા તાકીદે સ્કૂલ બંધ કરી આરોગ્ય ખાતાની ટીમે ધૂમ્રશેર અને એન્ટિલાર્વલ ટ્રીટમેન્ટ આપી વહીવટી ખર્ચ પેટે રૃ.૭૫૦૦નો દંડ વસૂલ્યો હતો.
એ જ પ્રમાણે મચ્છરોના બ્રિડિંગ શોધવાની કામગીરી દરમિયાન હની પાર્ક રોડ અડાજણ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં પડતર ડોલમાં મચ્છરની ઉત્પત્તિ જણાઇ હતી જેને પગલે એક હજારનો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો હતો. એલ.પી.સવાણી રોડ પર હેતા કોમ્પ્લેકસના ભોંયરામાં પણ મચ્છરો જણાતા ૨૧ દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલ પમ્પિંગ સ્ટેશન સામે પિરામિડ સ્કવેરના ભોંયરામાં પણ પુષ્કળ પ્રમાણમાં મચ્છરનું બ્રિડિંગ મળી આવતા જરુરી કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો.