શ્રીનગર, તા.૩૧
કાશ્મીર ખીણના જુદા જુદા ભાગોમાં ફરી એકવાર હિંસા ભડકી ઊઠી છે. તોફાનીઓ બેકાબૂ બનતા સત્તાવાળાઓએ કાશ્મીર ખીણનાં શ્રીનગર સહિત મોટાં શહેરોમાં ફરીથી કરફ્યુ લાદવાની ફરજ પડી છે. તોફાની ટોળાં દ્વારા સોપોરના અમરગઢ ખાતે રેલવે સ્ટેશનને આગ ચાંપવામાં આવી હતી જયારે મોટાં શહેરોમાં દેખાવકારોએ સીઆરપીએફ પેટ્રોલ ટુકડી ઉપર હુમલો કર્યો હતો. તોફાની ટોળાને વિખેરવાના પ્રયાસમાં ગોળીબાર કરનાર સુરક્ષા દળો ઉપર જોરદાર પથ્થરમારો પણ ચલાવવામાં આવ્યો હતો. પોલીસ ગોળીબારમાં બેનાં મોત થયાં હતાં અને અન્ય ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાં કેટલાક પોલીસોનો પણ સમાવેશ થાય છે. દેખાવકારના મોતની સાથે જ શુક્રવારે ભડકી ઊઠેલી હિંસા પછી મોતનો આંકડો વધીને છ ઉપર પહોંચી ગયો છે.
દેખાવકારોના હિંસક પ્રદર્શનના અનુસંધાનમાં સત્તાવાળાઓએ કાશ્મીર ખીણના મોટાં શહેરોમાં અચોક્કસ મુદતની સંચારબંધી લાદી દીધી છે.જેમાં શ્રીગનર, પુલવામા, અનંતનાગ, કુલગામ, બારામુલ્લા, બાંદીપોર, સોપોર, ગંડેરબાલ અને બડગામનો સમાવેશ થાય છે. દેખાવકારો હિંસા ઉપર ઊતરી આવ્યા હતા. સુરક્ષા દળોએ સ્થિતિને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. દેખાવકારોએ શ્રીનગરથી આશરે ૫૫ કિલોમીટરના અંતરે સ્થિત સોપોરમાં અમરગઢ ખાતે ગોળીબાર કરતા અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા.
કાશ્મીર ખીણના અનેક વિસ્તારોમાં દેખાવકારોએ પોલીસો પર ભારે પથ્થરમારો કર્યો હતો અને ઉત્તર કાશ્મીરમાં પટ્ટન ખાતે સ્પેશ્યલ ઓપરેશન કેમ્પને સળગાવવાની કોશિષ કરવામાં આવી હતી. સુંભાલમાં નાઈદખાઈ ખાતે પોલીસના હેડક્વાર્ટરમાં તોડફોડ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તોફાની ટોળાને વિખેરવા પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી જેમાં એક ટિનેજરનું મોત નીપજ્યું હતું અને એકને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે પહેલા એક કિશોરીનું મોત થયાની જાહેરાત કરી હતી પણ પછીથી સ્પષ્ટતા કરાઈ હતી કે તેને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાય છે . પોલીસે વિવિધ સ્થળે કરેલાં ગોળીબારમાં ૨૫ લોકોને ઈજા પહોંચી હતી.
તોફાનગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ અને અર્ધ લશ્કરી દળો દ્વારા કૂચ કરવામાં આવી હતી અને કરફ્યુનું કડક પાલન કરાવવામાં આવતું હતું લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ હતી. પોલીસ પ્રવક્તાએ કહ્યું છે કે ગઈકાલે દેખાવ દરમિયાન ઘાયલ થયેલા ૭૦ લોકો પૈકીના બેના હોસ્પિટલમાં મોત થઈ ચૂક્યા છે.માર્યા ગયેલા લોકો મોહંમદ રફીક અને ૩૦ વર્ષીય મોહંમદ સિદ્દીકી તરીકે ઓળખાયા છે. તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
છેલ્લા ૧૦ દિવસથી કાશ્મીર ખીણમાં શાંતિ પ્રવર્તતી હતા ત્યારે જ શુક્રવારે ફરી એકવાર હિંસા ભડકી ઊઠતા પોલિસ સહિત અર્ધ લશ્કરી દળો પર હુમલાનાં બનાવો બન્યા હતા જેમાં અનેક સ્થળે રસ્તા પર આવી ગયેલાં તોફાનીઓને વિખેરવા પોલીસને ગોળીબાર કરવાની અને કરફ્યુ લાદવાની ફરજ પડી હતી.