નવી દિલ્હી : 31, જુલાઈ
ચૂંટણી કમિશને લાલુ પ્રસાદ યાદવના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતાદળ(આરજેડી)ની રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા રદ કરી છે. આ સાથે અન્ય પાંચ દળોની પણ રાજ્ય પાર્ટીના રૂપમાં માન્યતા છીનવી લેવામાં આવી છે. જો કે, આ દળોને પોતાના ચૂંટણી ચિહ્નોનો ઉપયોગ કરવાની પરવાનગી રહેશે પણ તેમને આકાશવાણી, દૂરદર્શન ઉપર ચૂટણીને લગતા પ્રચારનો સમય અને મફતમાં મતદાતા સુચિ મેળવવા જેવી સુવિધાઓ નહીં મળી શકે.
સૂત્રોએ જણાવ્યું છે કે બિહાર, મણીપુર અને નાગાલેન્ડમાં સારું પ્રદર્શન ન કરવાને કારણે આરજેડીની રાજ્ય પાર્ટી તરીકેની માન્યતા છીનવાઇ ગઇ છે. રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે કોઇ દળે ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં રાજ્ય પાર્ટીનો દરજ્જો મેળવેલો હોવો જોઇએ.
આ સિવાય, વાઇકોના નેતૃત્વવાળી એમડીએમકેને તમિલનાડુમાં મળેલો રાજ્ય પાર્ટીનો દરજ્જો પણ સમાપ્ત થઇ ગયો છે. આ પ્રકારે જેડીયુએ બિહારમાં રાજ્ય પાર્ટીનો દરજ્જો ગુમાવી દીધો છે. સમાજવાદી પાર્ટીની ઉત્તરાંચલ તેમજ મધ્ય પ્રદેશમાં, પીએમકેની પોંડીચેરીમાં અને અરુણાચલ કોંગ્રેસની અરુણાચલ પ્રદેશમાં રાજ્ય પાર્ટી તરીકેની માન્યતા સમાપ્ત થઇ ચુકી છે. સમાજવાદી પાર્ટીનો યુપીમાં અને પીએમકેનો તમિલનાડુમાં રાજ્ય પાર્ટી તરીકેનો દરજ્જો જળવાઇ રહેશે.