હૈદરાબાદ : 31, જુલાઈ
અલગ તેલંગાણા રાજ્યના સમર્થનમાં ઉસ્માનિયા યુનિવર્સિટીમાં એન્જીનિયરિંગના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. જેનાથી ફરી એકવાર યુનિવર્સિટીનો માહોલ ગરમાયો છે. યુનિવર્સિટીની લાઇબ્રેરી પાસેથી ઇશાન રેડ્ડીનું શબ મળી આવ્યું છે. શબ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે અલગ તેલંગાણાના સમર્થનમાં જે 12 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા તેમની જીતથી મારા મનની ઇચ્છા પૂર્ણ થઇ ગઇ છે. તેલંગાણાની માગ કરતા ઉસ્માનિયા યુનિવર્સિટીમાં આ વર્ષે ઇશાન પહેલા અન્ય ત્રણ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચુક્યા છે.
સ્યુસાઇડ નોટમાં ઇશાને લખ્યું છે, "મેં દેવીની સામે બાધા રાખી હતી કે જો ચૂંટણીમાં ડી શ્રીનિવાસ અને કોંગ્રેસના અન્ય ઉમેદવારો હારી જશે તો હું મારો જીવ આપી દઇશ. હવે તેઓ હારી ચુક્યા છે માટે હું મારો જીવ આપી રહ્યો છું." ઉલ્લેખનીય છે કે તેલંગાણા પ્રાંતમાં થયેલી ઉપચૂંટણીમાં આંધ્ર પ્રદેશ કોંગ્રેસના ડી શ્રીનિવાસ અને અન્ય કોંગ્રેસ ઉમેદવારોની હાર થઇ છે.
પોતાની સ્યુસાઇડ નોટમાં ઇશાને કોંગ્રેસની હાર મુદ્દે તેલંગાણાના લોકો અને ટીઆરએસના કે ચંદ્રશેખર રાવને અભિનંદન પાઠવ્યા છે. ઇશાન ઇચ્છતો હતો કે કોંગ્રેસ અને ટીડીપીના નેતાઓ ડી શ્રીનિવાસ, જેના રેડ્ડી, દામોદર રેડ્ડી, શ્રીધર બાબુ, વેંકટ રેડ્ડી, કે શ્રીહરિ, ઈ દયાકર રાવ અને એન જનાર્દન રેડ્ડીને ગદ્દાર જાહેર કરી તેમને જાહેરમાં ફાંસી આપવામાં આવે.
તો બીજી તરફ ઇશાનનું શબ મળ્યા બાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોલીસને ઇશાનની અંતિમ ઇચ્છા મુજબ તેના શબને અંતિમક્રિયા માટે નથી લઇ જવા દેતા. ઇશાને પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે તેના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં ન આવે. તે ઇચ્છતો હતો કે યુનિવર્સિટી કેમ્પસમાંથી તેલંગાણા માટે શહીદ થયેલા લોકો માટે વિધાનસભા પાસે બનાવવામાં આવેલા સ્મારક સુધી તેની લાશને લઇને રેલી કાઢવામાં આવે.