બહેતર એ છે કે દેશને હવે લશ્કર સંભાળી લે(ચીની કમ)

Nov 29,2008 Home > Supplements > Columnist >Article
 
comment    e-mail    print    
 
Viewed 1959
Rate 3.0
Rating
Bookmark The Article
 
 


મુંબઈ ભારતની શાન છે અને તાજ હોટેલ એ મુંબઈની શાન છે. પાકિસ્તાને હિન્દુસ્તાનની શાન પર હુમલો કરીને ભારતનું નાક કાપ્યું છે. આખા વિશ્વ સમક્ષ ભારતની પ્રતિષ્ઠા પર પાકિસ્તાને કુઠારાઘાત કર્યો છે. દુનિયા સમક્ષ ભારતને નમાલું અને નબળું દર્શાવવા પાકિસ્તાને નાપાક કોશિશ કરી છે. યુરોપ અને અમેરિકા મહામંદીમાં સપડાયા છે અને ભારત એક આર્િથક મહાસત્તા બનવા જઈ રહ્યું છે ત્યારે જ હિન્દુસ્તાન પર હુમલો કરીને પાક. આતંકવાદીઓએ યોજનાપૂર્વક હુમલો કર્યો છે. હિન્દુસ્તાનમાં કોઈ વિદેશી રોકાણો માટે આવે જ નહીં અને આ દેશ વિદેશીઓ માટે સલામત છે જ નહીં એવો મેસેજ પહોંચાડવાનો આ પ્રયાસ છે.

છેલ્લા કેટલાક સમયથી ભારતની સરકારોનો ઝૂકાવ અમેરિકા તરફી થયો છે. મુસ્લિમ કટ્ટરપંથીઓ અમેરિકાને દુશ્મન ગણે છે અને ભારતને અમેરિકાનું મિત્ર ગણે છે. એટલે ભારતના અમેરિકા સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો પણ મુસ્લિમ કટ્ટરપંથીઓને ગમ્યા નથી. ભારતના અમેરિકા સાથેના સંબંધો પ્રત્યે ધિક્કાર વ્યક્ત કરવાનો પણ સંદેશ કટ્ટરપંથીઓએ પાઠવ્યો છે. જેહાદીઓને ખબર છે કે, તાજ કે ઓબેરોય તે ફાઈવસ્ટાર હોટેલો છે. તેમાં ઉદ્યોગપતિઓ અને વિદેશીઓ જ મહેમાન બને છે. તાજ હોટેલ પર તાતાનું નિયંત્રણ છે. તેથી કટ્ટરપંથીઓએ બહુ જ સમજણપૂર્વક એક ગંભીર સંકેત દેશને અને દુનિયાને મોકલ્યો છે.

મુંબઈની તાજ હોટેલ અને ઓબેરોય હોટેલ આખા વિશ્વમાં વિખ્યાત છે. આ બે શાનદાર હોટેલો મુંબઈની ઓળખ પણ છે. તેની પર હુમલાના ખબર બાદ યુરોપ, યુ.કે., અમેરિકા અને જાપાનથી ભારત આવવા માંગતા પર્યટકો ભારત આવવાની ટિકિટો રદ કરાવી રહ્યા છે. યુ.કે. અને બીજા દેશોએ તેમના નાગરિકોને ભારત ના જવાની સલાહ જારી કરી છે. એરલાઈન્સની ટિકિટો રદ થઈ રહી છે. ભારત એક જોખમી દેશ છે તેવો સંદેશો પાઠવવામાં ત્રાસવાદીઓ સફળ રહ્યા છે.

ભારતનાં વેપાર-ઉદ્યોગક્ષેત્રે પ્રથમ પંક્તિનાં શહેરોમાં દર એક બે મહિને બોમ્બ ધડાકાઓ કરવામાં આવે છે અને નેતાઓ દર વખતે એકનાં એક નિવેદનો કરે છે. આતંકવાદને નાથવા કડક કાયદો લાવવાની વાતો કર્યા કરે છે. આ લોકોને મૂર્ખ બનાવવાની વાતો છે. છેલ્લા કેટલાંક વર્ષોથી આવી રહેલી નબળી સરકારોના કારણે હિન્દુસ્તાન આતંકવાદીઓ માટે સ્વર્ગ અને નિર્દોષ નાગરિકો માટે નર્ક બની ગયું છે. વિશ્વનો કોઈ દેશ આટલી તકલીફમાં નથી.

‘સંદેશ’ અખબારને એક ઇ-મેલ મળ્યો છે.

એક જાગૃત નાગરિકે દેશના રાજકારણીઓ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતા લખ્યું છે કે, "જે લોકો (આતંકવાદીઓ) બોટથી આવ્યા તે કરતાં જે લોકો ‘વોટ’થી (ચૂંટાઈ) આવ્યા છે તેમનાથી દેશે સહુથી વધુ ચેતવા જેવું છે, કારણ કે બોટવાળા કરતાં વોટથી આવતા લોકો સહુથી વધુ ડેન્જરસ છે.

ભારત જેવા વિશાળ ઉપખંડને માત્ર ૧૦ જ વ્યક્તિઓએ જે રીતે બાનમાં લીધો એ શરમ ભારતના શાસકોની છે. આજે તો હિન્દુસ્તાનની પ્રજા દેશના તમામ રાજકારણીઓને માથે ટકો કરાવી તેમને અવળા ગધેડે બેસાડી ફેરવવા તલસી રહ્યા છે. નાલાયક, નપાવટ અને નકામા રાજકારણીઓએ આખાયે રાષ્ટ્રનું સન્માન પાકિસ્તાનની ઝોળીમાં ગિરવે મૂકી દીધું છે. મુંબઈની ઘટનાઓએ દેશની ૧૦૦ કરોડની પ્રજાને હચમચાવી દીધી છે.

આખું રાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈ લોહીલુહાણ છે ત્યારે પણ દેશના નેતાઓ  રાજનીતિ છોડતા નથી. મોટા ભાગના રાજકારણીઓ ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત છે જ્યારે દિલ્હીના બડા બડા નેતાઓ એક મંચ પર આવી શકતા નથી. અમેરિકામાં ન્યૂ યોર્ક ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો ત્યારે પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ. બુશને તેમના વિરોધી ડેમોક્રેટિક પક્ષે તમામ સાથ અને સહકાર આપવાની ઘોષણા કરી હતી અને બુશની ટીકા ટિપ્પણી બંધ કરી ત્રાસવાદ સામે લડવા પ્રેસિડેન્ટનો જુસ્સો વધારી આપ્યો હતો. ભારતમાં તેથી ઊલટું થયું. મુંબઈ પર હુમલા બાદ વડા પ્રધાન મનમોહનસિંહ અને શ્રીમતી સોનિયા ગાંધીએ એલ. કે. અડવાણીને તેમની સાથે મુંબઈ આવવા કહ્યું ત્યારે અડવાણીએ રાજકીય લાભ ખાટવા વડા પ્રધાન આવે તે પહેલાં જ ઉતાવળે ઉતાવળે મુંબઈની દોડ લગાવી. ટી.વી. કેમેરા સમક્ષ રજૂ થઈ ગયા અને તેઓ જ મુંબઈ પ્રત્યે લાગણી ધરાવે છે તેવું દર્શાવવા પ્રયાસ થયો. અડવાણીએ તેમની ઉંમર પ્રમાણે પરિપકવતા દાખવી નહીં. દેશમાં કટોકટી જેવી પરિસ્થિતિ હોય ત્યારે ત્યારે અડવાણી એન્ડ કંપનીઓ તથા બીજા બધા જ રાજકીય નેતાઓએ એકતા દર્શાવવાની જરૃર હતી. મુંબઈ કણસી રહ્યું હતું ત્યારે લાલુ એમનું વાજું વગાડતા હતા. મુલાયમ કોમવાદનું બ્યુગલ બજાવી રહ્યા હતા. સુષ્મા સ્વરાજ એમની સિસોટીઓ વગાડી રહ્યાં હતાં. વિજય મલ્હોત્રા એમનું ઢોલ બજાવી રહ્યા હતા. અરુણ જેટલી  ચાંપલું ચાંપલું બોલતા હતા.

કપિલ સિબ્બલ એમની પતંગ કાપવા કિકિયારીઓ કરી રહ્યા હતા. આવી નાજુક પળોમાં પણ નેતાઓનું મહાભારત ચાલ્યું અને દિલ્હીનું સિંહાસન કબજે કરવા માટેનો ખેલ ખેલાતો રહ્યો.

આ બધામાં મુંબઈના જાતે જ ધણી બેઠેલા રાજ ઠાકરે અને શિવસેનાના સુપ્રીમો બાલ ઠાકરે તો ગુમ જ થઈ ગયા. બિહાર અને યુ.પી.ના ગરીબ લોકો પર હુમલા કરવામાં શૂરા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અદૃશ્ય થઈ ગઈ. અમિતાભ અને જયા બચ્ચનને ગાળો ભાંડતા રાજ ઠાકરેને હવે મુંબઈના નાગરિકો શોધી રહ્યા છે. આતંકવાદીઓ તાજ અને ઓબેરોયમાં નિર્દોષ લોકોને ગોળીએથી વીંધતા હતા ત્યારે રાજ ઠાકરેની સેના અને બાલ ઠાકરેના શિવસૈનિકો લોકોને બચાવવા તાજ કે ઓબેરોયમાં ફરક્યા જ નહીં.

બાલ ઠાકરેએ તો હિન્દુ આતંકવાદીઓ પેદા કરવાની સલાહ આપી હતી. બાલ ઠાકરેના પરિવારનો એક પણ સભ્ય પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓને પકડવા કેમ મેદાને પડયો નહીં ? કેટલાક સમય પહેલાં ત્રિશૂળો વહેંચનાર અને કરાંજી કરાંજીને બોલનાર પ્રવીણ તોગડિયાના ત્રિશૂળો ક્યાં ગયા ? મિસ્ટર તોગડિયાને એ વાતની ખબર નથી કે અત્યાધુનિક એ.કે. ૫૬ જેવી રાઈફલો આગળ ત્રિશૂળ કામ આવતાં નથી. માત્ર મૂછો રાખવાથી સિંહ થવાતું નથી. ભાષણો કરવાથી આતંકવાદ નાથી શકાતા નથી. આતંકવાદનો સામનો કરવા માટે દિલ, દિમાગ અને હિંમત જોઈએ. વ્યૂહરચના જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ જોઈએ. મજબૂત મનોબળ અને ઇચ્છાશક્તિ જોઈએ. સરદાર સાહેબ જેવી ઠંડી તાકાત જોઈએ. દોઢ બે ઇંચના ત્રિશૂળ કામ ના આવે. તોગડિયા સાહેબ, બકવાસ કરવાથી તો ફોગટિયા જ સાબિત થવાય.

વિલાસરાવ જેવા નબળા મુખ્યમંત્રી આર. આર. પાટિલ જેવા તેમના સાથી, ઠાકરે, અડવાણી જેવા સત્તાભૂખ્યા રાજકારણીઓ  અને હિન્દુસ્તાનમાં જ હિન્દુસ્તાનીઓને માર મારતા શિવસૈનિકો કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ગુંડાઓ કરતાં ભારતીય લશ્કરના જવાંમર્દો, એનએસજીના કમાન્ડો અને એટીએસના અધિકારીઓ વધુ બહાદુર અને દેશભક્ત સાબિત થયા છે. તાજ-ઓબેરોય ઓપરેશન્સના અસલી હીરો આ બધા કમાન્ડોઝ જ છે. ભારતીય લશ્કરનો નૈતિક જુસ્સો આજે પણ ઊંચો છે. મુંબઈના આખાયે ઘટનાક્રમમાં અસલી હીરો ભારતીય લશ્કર અને એનએસજીના જવાનો જ છે. કારણ કે તેમને કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષા નથી. તેમને મહારાષ્ટ્ર કે દિલ્હીની ગાદી જોઈતી નથી. ભારતીય લશ્કર આજે પણ સર્વશ્રેષ્ઠ છે.

એ પછીનું અસલી હીરો મીડિયા છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો તથા કેમેરામેનોએ આતંકવાદીઓની ગોળીઓ કે હેન્ડગ્રેનેડની પરવા કર્યા વિના આખા રાષ્ટ્રને મુંબઈની કરુણાજનક હાલત દર્શાવી તે વખતે ના તો કોંગ્રેસના, ના તો ભાજપના કે ના તો ઠાકરે પરિવારના કાર્યકરો દેખાયા. વિલાસરાવ કરતાં મીડિયાની મહિલા પત્રકારો વધુ બહાદુર જણાઈ. 

મુંબઈમાં તાજ અને ઓબેરોયમાં ઘૂસેલા ત્રાસવાદીઓનો સફાયો થઈ ગયા બાદ ફરી એક વાર રાજકારણીઓ મેદાનમાં આવી જશે. બયાનબાજી શરૃ કરી દેશે. એકબીજાનો વાંક કાઢી સત્તા પ્રાપ્ત કરવાનો ખેલ શરૃ કરશે, પરંતુ મુંબઈને ત્રાસવાદીઓના બિહામણા સ્વરૃપથી ભયમુક્ત કરી શહીદી વહોરનાર  એનએસજીના કમાન્ડોના પરિવારોને કોઈ યાદ નહીં કરે. વીર શહીદોના પરિવારોમાં તો શોકની કાલિમા જ હશે. તેમની પત્ની, માતા-પિતા કે બાળકો રડતાં જ હશે, જ્યારે બાજી બાજુ રાજકારણીઓ આ શહીદોની વીરતાનો શેરો પોતાના માથે બાંધી ફોટા પડાવતા હશે. તેમની તસવીરો અખબારોમાં છપાય તે માટે તંત્રીઓને ફોન કરતા હશે. પ્રધાનો ૨૦-૨૦ ગાડીઓના કાફલાની વચ્ચે ફરતા હશે અને મુંબઈની ઘટનાને ચાર દિવસમાં જ ભૂલી જશે. લોકો આગળ ભાષણો ઠોકતા હશે. જાડી ચામડીના આ લોકોને  અઠવાડિયા પછી મૃત્યુ પામેલા હિન્દુસ્તાનીઓ અને જાંબાઝ જવાનોના મોતનો મલાજો પણ નહીં હોય. હવે થોડા જ મહિનાઓમાં લોકસભાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે આજ નેતાઓ બેન્ડવાજાં અને બેનરો લઈ નીકળી પડશે.

કહેવાય છે કે, લોકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે. લોકો પાછલી ઘટનાઓને બહુ જલદી ભૂલી જાય છે. થોડા દિવસોમાં જ લોકો ખુદ શેરબજારમાં વ્યસ્ત થઈ જશે. રાજકારણીઓને પાપે દેશની હાલત બગડી રહી છે એ વાત ભૂલી જશે. છબીઘરો છલકાતાં હશે. ફાસ્ટફૂડની રેસ્ટોરાંઓ પર કતારો હશે. લોકોને બિચારાઓને ખબર નહીં હોય અને ફરી કોઈ નવા જ શહેરમાં, કોઈ નવા જ લોકેશન્સ પર, કોઈ નવી જ સ્ટ્રેટેજી સાથે આતંકવાદીઓ  ત્રાટકશે. ફરી નિર્દોષ લોકો મરશે. લોહીના ફુવારા છૂટશે. હિન્દુસ્તાનીઓનાં માથાં ધડથી અલગ થશે. બોમ્બના સેંકડો છરા ભારતીયોના શરીરને ચારણી બનાવી દેશે. હોસ્પિટલો ઘાયલ થયેલા લોકોથી ઊભરાશે અને ફરી તેની પર સિયાસત થશે. બહેતર એ છે કે, ત્રાસવાદ નાબૂદ થાય ત્યાં સુધી આ દેશને લશ્કર જ સંભાળે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com