અમેરિકાનાં વિદેશપ્રધાન કોન્ડોલિઝા રાઈસે ગુરુવારે પાકિસ્તાન જઈને, આતંકવાદ સામેની લડતમાં પાકિસ્તાને ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી તેને કારણે ભારતનો કેસ એકદમ નબળો પડી ગયો છે તેમ રાજકીય નિષ્ણાતો માને છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં પાકિસ્તાનની સંડોવણી હોવાનું ખુદ અમેરિકન ઈન્ટેલિજન્સના વડાએ કહ્યું હોવા છતાં અમેરિકાએ આ મામલે પાકિસ્તાનની તરફદારી કરી આશ્ચર્ય સર્જ્યું છે. કોન્ડોલિઝાની ભારતયાત્રા દરમિયાન શું રંધાયું તેવો સવાલ ઘણાંને થાય છે. મુંબઈ પર આક્રમણ થયું ત્યારે ભારતને તમામ પ્રકારની સહાયની વાતો કરનાર અમેરિકા અચાનક જ કેમ બદલાઇ ગયું તેનું ઘણાંને આશ્ચર્ય થયું છે. જો કે તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. અમેરિકાનાં પાકિસ્તાન સાથે મોટા પ્રમાણમાં હિતો સંકળાયેલાં છે અને તેને કારણે અમેરિકા પાકિસ્તાનને નારાજ કરી શકે તેમ નથી. બીજી તરફ ભારત સાથે પણ અમેરિકાનાં હિતો મોટા પ્રમાણમાં સંકળાયેલાં છે અને અત્યારે ભારત જે રીતે આર્િથક પ્રગતિ કરે છે તેને કારણે અમેરિકાને ભારતને નારાજ કરવાનું પણ પરવડે તેમ નથી. અહીં અમેરિકા અને પાકિસ્તાનનાં હિતો કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલાં છે અને અમેરિકા કેમ પાકિસ્તાનને નારાજ કરવા કેમ નથી માંગતું તેના પર નજર નાંખવા જેવી છે.
-પાકિસ્તાન જો અફઘાનિસ્તાન સરહદેથી પોતાના લશ્કરના એક લાખ સૈનિકોને ખસેડી લે તો અમેરિકાની હાલત કફોડી થઈ જાય. અમેરિકાને અફઘાનિસ્તાન સરહદે આદિવાસી વિસ્તારોમાં સંતાઈ રહેલા તાલિબાન અને અલકાયદાના આતંકવાદીઓ સામે લડવા માટે પાકિસ્તાની લશ્કરની જરૃર છે. જો પાકિસ્તાની લશ્કર અફઘાનિસ્તાન સરહદેથી ખસે તો તાલિબાન પાછા અફઘાનિસ્તાનમાં ઘૂસી જાય.
-અમેરિકા પાકિસ્તાન પાસેનાં પરમાણુ શસ્ત્રો કટ્ટરવાદીઓના હાથમાં ના જતાં રહે તેની પણ ચિંતામાં છે કેમ કે છેલ્લે તેનો ઉપયોગ અમેરિકા સામે જ થાય. ભારત જો પાકિસ્તાન પર આક્રમણ કરી નાંખે તો પાકિસ્તાનમાં અંધાધૂંધી સર્જાઈ જાય અને તેનો લાભ લઈને કટ્ટરવાદીઓ અથવા તો પાકિસ્તાની લશ્કર પરમાણુ શસ્ત્રો પર કબજો કરી નાંખે તેવો ડર અમેરિકાને છે.
-દક્ષિણ એશિયા હવે મુસ્લિમ આતંકવાદનો અડ્ડો છે અને અલકાયદા તથા અન્ય મુસ્લિમ સંગઠનો સૌથી વધારે સક્રિય અને મજબૂત દક્ષિણ એશિયામાં જ છે. અમેરિકા પણ માને છે કે પાકિસ્તાન આતંકવાદનો અડ્ડો છે પણ તેને આ આતંકવાદીઓ સામે લડવા માટે જે થાણું જોઈએ તે પાકિસ્તાન જ આપી શકે તેમ છે તેથી અમેરિકા પાકિસ્તાનને નારાજ કરી શકે તેમ નથી.
મુંબઈના આતંકવાદી હુમલા બાબતે અમેરિકાના વલણમાં જે ફેરફાર થયો છે તે છેલ્લા એક અઠવાડિયાના ઘટનાક્રમ પરથી જોઈ શકાય છે.
૨૭ નવેમ્બર, ૨૦૦૮
અમેરિકા દ્વારા આતંકવાદી હુમલાની ટીકા. અમેરિકન મીડિયા પાકિસ્તાન પર તૂટી પડયું. પાકિસ્તાન આતંકવાદને પોષતું હોવાના આક્ષેપોની ઝડી. અમેરિકન વહીવટીતંત્ર દ્વારા ભારતને તમામ પ્રકારની સહાયની ખાતરી. આતંકવાદ સામેની લડાઈ માટે સંયુક્ત પ્રયાસો જરૃરી હોવાનો ઉચ્ચાર. પાકિસ્તાનને આતંકવાદને પોષવાનું બંધ કરવા ચેતવણી અપાઈ.
૨૮ નવેમ્બર, ૨૦૦૮
એફબીઆઈની ટીમને મુંબઈ મોકલવાની અમેરિકાએ તૈયારી બતાવી. અમેરિકન મીડિયામાં આ હુમલો પાકિસ્તાન દ્વારા કરાવાયો હોવાના ખુલ્લા આક્ષેપ.
જ્યોર્જ બુશે વડા પ્રધાન સાથે ફોન પર વાત કરી અને આતંકવાદીઓના સફાયા માટે ભારત તરફથી કરાતા તમામ પ્રયાસોને સંપૂર્ણ ટેકાની ખાતરી આપી. ઓબામાએ પણ ભારતને ટેકો જાહેર કર્યો.
૨૯ નવેમ્બર, ૨૦૦૮
બરાક ઓબામાએ ટેલિફોન કરીને વડા પ્રધાન મનમોહનસિંહને તમામ સહકારની ખાતરી આપી અને આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે જ હોવાની વાતને ફરી દોહરાવી.
અમેરિકન રાજદૂત ડેવિડ મુલફોર્ડે વિદેશ સચિવ શિવશંકર મેનનને તપાસમાં મદદ સહિતની તમામ સહાયની ઑફર કરી. આતંકવાદી નેટવર્કના સફાયા માટે ભારત દ્વારા ઝુંબેશ શરૃ કરાય તો ટેકાની ખાતરી આપી.
૧ ડિસેમ્બર, ૨૦૦૮
ભારતને પોતાના રક્ષણનો અબાધિત અધિકાર હોવાનું બરાક ઓબામાનું નિવેદન. પૂરતા પુરાવા હોય અને પાકિસ્તાન પુરાવાને આધારે પગલાં લેવામાં નિષ્ફળ રહે તો પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર બોમ્બમારો કરવાનો અમેરિકાને હક છે તેવું ચૂંટણીપ્રચાર દરમિયાન કરેલું નિવેદન ભારતને પણ લાગુ પડે છે તેવો સ્વીકાર. ભારત દ્વારા લશ્કરી પગલાંને પરોક્ષ રીતે ટેકો.
૨ ડિસેમ્બર, ૨૦૦૮
આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા લશ્કરે તોયબાના અધિકારીઓ સાથે સંપર્કમાં હોવાની બાબતને અમેરિકન એફબીઆઈ ટીમનું સમર્થન. ઇન્ટરનેટ કોડ ઉકેલવામાં પણ ભારતની મદદ.
અમેરિકાએ ફરી તે ભારત સાથે હોવાના નિવેદનને દોહરાવ્યું અને આતંકવાદ સામેની લડતમાં ભારતને પોતાના રક્ષણ માટે કંઈ પણ કરવાનો હક્ક હોવાની વાતને પણ ટેકો આપ્યો.
૩ ડિસેમ્બર, ૨૦૦૮
કોન્ડોલિઝા ભારતની મુલાકાતે. પાકિસ્તાને ઝડપી અને નક્કર પગલાં ભરવા પડશે તેવું નિવેદન કર્યું. જો કે ૨૦ મોસ્ટ વોન્ટેડ અને આતંકવાદી છાવણીઓ પર હુમલા અંગે બિલકુલ મૌન.
મુંબઈ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે તોયબાનો હાથ હોવાનું અમેરિકન નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર માઈક મેક્કોનેલ કહ્યું.
૪ ડિસેમ્બર, ૨૦૦૮
ઇસ્લામાબાદમાં પાકિસ્તાની શાસકો સાથેની મુલાકાત બાદ કોન્ડોલિઝા રાઈસની ગુલાંટ. આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીનો ઉલ્લેખ સુદ્ધાં નહીં. ઊલટાનું આતકંવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને અસરકારક ભૂમિકા ભજવી હોવાનું જણાવી પાકિસ્તાનની પીઠ થાબડી. ભારતને પણ પાકિસ્તાન સાથે મળીને આતંકવાદ સામે લડવાની વણમાંગી સલાહ આપી.