નવી દિલ્હી,તા. ૧૭
પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા મહારાષ્ટ્ર એટીએસના વડા હેમંત કરકરેની હત્યા અંગે કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન એ.આર. અંતુલેએ સવાલ ઉઠાવતા ભારે હોબાળો મચી ગયો છે. કરકરે દ્વારા તપાસ કરવામાં આવતા માલેગાંવ બ્લાસ્ટ સાથે આ મામલાને જોડતા નવો વિવાદ સપાટી પર આવી ગયો છે. એક બાજુ વિરોધ પક્ષોએ તેમના અયોગ્ય વલણ બદલ પ્રધાન સામે આકરા પ્રહારો શરૃ કરી દીધા છે અને વડાપ્રધાન મનમોહન સિંહ પાસેથી સ્પષ્ટીકરણની માગણી કરી છે. બીજી બાજુ કોંગ્રેસે વિવાદને શાંત પાડવાના હેતુસર પ્રયાસો હાથ ધર્યા છે. કોંગ્રેસે પોતાને અલગ કરતા કહ્યું છે કે અંતુલેના આ અંગત મત છે. કોંગ્રેસ સાથે આના કોઇ લેવાદેવા નથી.
-
માલેગાંવ બ્લાસ્ટ સાથે જોડવાનો પ્રયાસ
-
વડાપ્રધાન પાસેથી સ્પષ્ટીકરણની વિ પક્ષોની માગણી
-
અંતુલેનાં સૂચનો અંગત છે : કોંગ્રેસની પ્રતિક્રિયા
ભાજપ અને શિવસેનાના સભ્યોએ આજે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ગૃહપ્રધાન પાસેથી પરિસ્થિતિ અંગે સ્પષ્ટીકરણની માગણી કરવામાં આવી હતી. ચિદમ્બરમે આજે આતંકવાદ વિરોધી બિલો રજૂ કર્યા હતા. અંતુલેએ જણાવ્યું હતું કે કરકરે કેટલાક એવા કેસોમાં તપાસ કરી રહ્યા હતા જેમાં બિન મુસ્લિમો પણ સામેલ છે.
અંતુલેએ દેખીતી રીતે માલેગાંવ બ્લાસ્ટ કેસનો ઉલ્લેખ કર્યો હતો. આ કેસમાં સાધ્વી પ્રજ્ઞાા ઠાકુર અને લેફ્ટેનન્ટ કર્નલ શ્રીકાંત પ્રસાદ પુરોહિત સહિત ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ સામે તપાસ ચાલી રહી છે. સંસંદની બહાર અંતુલેએ જણાવ્યું હતું કે કરકરે તપાસ પૂર્ણ કરે તે પહેલા જ કમનસીબ રીતે તેઓ શહીદ થઇ ગયા. કરકરેની હત્યા કઇ રીતે થઇ તેમાં અલગ તપાસ કરવાની તેઓએ દેખીતીરીતે માગણી કરી હતી. અંતુલેએ જણાવ્યુ હતું કે કરકરેને એવું લાગ્યું હતું કે આતંકવાદી કૃત્યોમાં બિન મુસ્લિમો પણ સંડોવાયેલા છે. કરકરેએ તેમની તપાસ આ જ કારણસર તીવ્ર બનાવી હતી.
આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવાના પડકારો ઉઠાવનાર વ્યક્તિ હમેંશા ટાર્ગેટ બને છે. તેમણે ઉમેર્યું હતું કે કરકરેને મારી નાંખવા માટે ત્રાસવાદીઓ પાસે કોઇ કારણ હતું. કરકરે ત્રાસવાદ ઉપરાંત અન્ય કોઇ બાબતનો પણ ભોગ બન્યા છે તે અંગે તેઓ જાણતા નથી. અંતુલેના મતને ટેકો આપવાનો કોંગ્રેસે ઇનકાર કર્યો હતો. પાસવાને જણાવ્યું હતું કે અંતુલે મહારાષ્ટ્રના છે જેથી તેમની પાસે વધારે માહિતી હોવી સ્વાભાવિક છે.