જૂનાગઢ,તા.૧૧
સોરઠમાં એફ.એમ. રેડિયો સુવિધા શરૃ થઈ જશે તેવી બહાર આવી રહેલી વાતો વચ્ચે સોરઠની નબળી નેતાગીરીને કારણે લાંબા સમયથી પ્રજાજનો એફ.એમ. સુવિધાથી વંચિત રહ્યા હોવાની હૈયાવરાળ ઠાલવતા જૂનાગઢના એક જાગૃત આગેવાને સાફ શબ્દોમાં ચેતવણી આપતા જણાવાયું છે કે, જો એફ.એમ. રેડિયો સ્ટેશન શરૃ ન કરાવી શકો તો પ્રજાના આંદોલન માટે તૈયાર રહો.
- જૂનાગઢના જાગૃત આગેવાનની હૈયાવરાળ : એફ.એમ. રેડિયો શરૃ ન કરાવી શકો તો પ્રજાના આંદોલન માટે તૈયાર રહો
જૂનાગઢ શહેરની રાજ્યના મહાનગરોમાં ગણતરી થવા માંડી છે ત્યારે હજી સુધી એફ.એમ. રેડિયો જેવી સુવિધાથી પણ પ્રજાજનો વંચિત હોવાની વ્યથા વ્યક્ત કરતા જાગૃત આગેવાન ડો.એચ. ડી. ચુગડીયાએ જણાવ્યું છે કે, જૂનાગઢમાં એફ.એમ. રેડિયો સ્ટેશન ઉભુ થઈ ગયુ છે. ટાવર પણ ઉભો થઈ ગયો છે. માત્ર અમુક મશીનરીઓને બાદ કરતા આખુ એફ.એમ. સ્ટેશન લગભગ તૈયાર થઈ ગયું છે.
છેલ્લા દોઢ-બે વર્ષ જેટલા સમયથી આ સ્ટેશન માત્ર અમુક મશીનરીની રાહમાં ધુળ ખાઈ રહ્યું છે. આમ છતા ખૂટતી મશીનરીઓ હજી સુધી લાવવામાં આવી નથી. પરિણામે પ્રજાજનો એક સારી સુવિધાથી વંચિત છે. એકંદરે સ્થિતી એવી નિર્માણ પામી છે કે થોડી મશીનરીના અભાવે હાલમાં હયાત મશીનો પણ બગડી જાય તેમ છે. જો કે વારંવાર અધિકારીઓ મુલાકાતો લેતા હોય છે. પરંતુ હજી સુધી કંઈ થયું નથી. સોરઠની નેતાગીરી જો થોડું ધ્યાન પણ આપે તો સમગ્ર પ્રશ્ન હલ થઈ જાય તેમ છે. ત્યારે આ બાબતે આગેવાનોને પણ આગળ આવી પ્રજાની સુવિધા માટે લડત આપવાની હાંકલ અંતમાં કરાઈ છે.