મુંબઈ, તા. ૧૫
મુંબઇમાં ગત ૨૬ નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાના કેસમાં આજે નાટયાત્મક ઘટનાક્રમમાં સ્પેશિયલ કોર્ટે હુમલા દરમિયાન જીવતા ઝડપાયેલા એકમાત્ર આતંકવાદી મોહંમદ આમિર અજમલ કસાબના વકીલ તરીકે અંજલિ વાઘમારેને વ્યવસાયી ગેરવર્તણૂકના કારણસર હટાવી દીધાં છે. કોર્ટના આ નિર્ણયના પગલે કસાબે ફરી એક વાર પાકિસ્તાની વકીલની માગણી કરી હતી.
વકીલ કે. બી. એમ. લામે અદાલત સમક્ષ અરજી કરી કસાબના વકીલ તરીકે વાઘમારેની નિમણૂકને પડકારી હતી. લામની દલીલ હતી કે અંજલિ વાઘમારે આ કેસના એક સાક્ષીના પણ વકીલ હોઇ એક જ કેસમાં સાક્ષી અને આરોપી બન્નેના વકીલ તરીકે રહી શકે નહીં.
લામની આ અરજીને પગલે જજ એમ. એલ. તાહિલ્યાનીએ વાઘમારેની કસાબના વકીલ તરીકે નિમણૂક રદ કરી હતી. જો કે વાઘમારેની સાથે જ નિમાયેલા કસાબના અન્ય વકીલ કે. પી. પવારની નિમણૂક કોર્ટે યથાવત્ રાખી હતી.
કસાબના કેસની સુનાવણી આર્થર રોડ જેલ ખાતે ઊભી કરાયેલી ખાસ અદાલતમાં ચાલી રહી છે. ૨૬ નવેમ્બરે ધરપકડ થયા બાદ સ્પેશિયલ કોર્ટમાં પહેલી વાર હાજરી આપી રહેલા ૨૧ વર્ષીય કસાબે પાકિસ્તાની વકીલ માટે કરેલી માંગના જવાબમાં જજ તાહિલ્યાનીએ કહ્યું હતું કે કોર્ટ પાકિસ્તાનને અગાઉ પણ આ બાબતે જાણ કરાઇ હતી અને હવે કોર્ટ તેના જવાબની રાહ જોશે નહીં. કસાબના વકીલની આવતી કાલે નિમણૂક કરશે.
ઘેરા રાખોડી રંગના ટી-શર્ટ અને ટ્રેક સૂટમાં, વધેલી દાઢી સાથે સવારે ૧૧.૩૦ કલાકે કોર્ટમાં લવાયેલો કસાબ હળવાશસભર જણાતો હતો અને આજની સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્મિત વેરતો હતો. વકીલો રજૂઆતો કરે ત્યારે તે માથું હલાવતો હતો. તેણે જેલમાં પોતાની કોટડીમાં સમાચારપત્રો પૂરા પાડવાની માગણી કરી હતી જે અંગે કોર્ટ હવે પછી નિર્ણય કરશે. એક તબક્કે તેણે કોર્ટરૃમમાં અન્ય આરોપી ફહીમ અન્સારી સાથે વાત કરતાં જજે તેને ચેતવણી આપી હતી કે તે કોર્ટની મંજૂરી લીધા વિના અન્ય આરોપી સાથે વાત કરી શકે નહીં.